Rajkot news: સમૂહ લગ્નના નામે 27 યુગલો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રાલાનો આપઘાતનો પ્રયાસ

Rajkot news: રાજકોટ શહેરમાં ગત ફેબ્રુઆરી મહિનામાં સમૂહ લગ્નના નામે 27 યુગલો સાથે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રાલાએ પોતાના ઘરે ઊંઘની વધુ ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસને લઈ આરોપી ચંદ્રેશ છત્રાલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે, પોલીસનું નિવેદન નોંધે તે પહેલા જ પ્રાથમિક સારવાર લઈને આરોપી ચંદ્રેશ છત્રાલા સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં ફેબ્રુઆરી મહિનાની 22 તારીખે મોટા ઉપાડે સમૂહ લગ્નનું ભપકાદાર આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ ઋષિવંશી સમાજના સમૂહ લગ્નના નામે યુગલો સાથે છેતરપિંડી થઈ હતી. લગ્નના દિવસે જ સમૂહ લગ્નના આયોજકો પલાયન થઈ ગયા હતા. જેથી આખા ગુજરાતમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થયાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
જાણો શું છે મામલો
રાજકોટમાં ઋષિવંશી ગૃપ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 28 કપલે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40 હજાર રૂપિયા ઉઘારવ્યા હતા. સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે હોવાથી વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા. આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા. પરંતુ આખરે રાજકોટ પોલીસે દરમ્યાનગીરી કરીને કપલના લગ્ન કરાવ્યા હતા.

