Rajkot/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં શ્વાનને ખોરાક આપવા પર પ્રતિબંધ, સુરક્ષા એજન્સી સામે કાર્યવાહીના આદેશ!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં રખડતા શ્વાનોના મામલે એક મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી પરિસરમાં શ્વાનને ખોરાક આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા શ્વાનોને લઈને આપવામાં આવેલા આદેશના પગલે લેવામાં આવ્યો છે.
શ્વાન દેખાશે તો સુરક્ષા એજન્સી સામે કાર્યવાહી
યુનિવર્સિટી દ્વારા સુરક્ષા એજન્સીને કડક તાકીદ કરવામાં આવી છે. આ આદેશ અનુસાર, જો યુનિવર્સિટી કેમ્પસમાં ક્યાંય પણ રખડતા શ્વાન જોવા મળશે અથવા કોઈ વ્યક્તિ શ્વાનને ખોરાક આપતું જણાશે, તો સુરક્ષા એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પગલું યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી લેવાયું છે.
નોડલ ઓફિસરની નિમણૂક મામલે બેદરકારી
યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને રખડતા શ્વાન મામલે નોડલ ઓફિસરની નિમણૂક કરવાના આદેશો આપવામાં આવ્યા હતા, પરંતુ માત્ર બે જ કોલેજોએ અત્યાર સુધીમાં આ આદેશનું પાલન કર્યું છે. યુનિવર્સિટી દ્વારા બાકીની કોલેજોને પણ તાત્કાલિક નોડલ ઓફિસરની નિમણૂક કરવા જણાવાયું છે.
વળી, ટૂંક સમયમાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા પણ આ મામલે યુનિવર્સિટી કેમ્પસમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે, જેથી શ્વાનોની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય.

