VIDEO: ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાના ઉમદા હેતુ સાથે યાર્ડના હોદ્દેદારો દ્વારા કરાઈ સમીક્ષા
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા અને વરસાદી પાણીનો મહત્તમ સદુપયોગ કરવા માટે ખાસ રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે. ચાલુ વરસાદ દરમિયાન યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ડિરેક્ટર જીતુભાઈ જીવાણીએ આ રિચાર્જ બોરની સ્થળ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે યાર્ડમાં પડતું વરસાદી પાણી યોગ્ય વ્યવસ્થાથી સીધું જ ભૂગર્ભમાં ઉતરી રહ્યું છે, જે જોઈને આનંદ અને સંતોષની લાગણી થઈ છે. વરસાદી પાણીનું એક પણ ટીપું વ્યર્થ ન જાય અને ભવિષ્ય માટે જળસ્તર જાળવી શકાય તે માટે આ પ્રયોગ ખૂબ જ પ્રેરણાદાયી સાબિત થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં પાણીનું સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે, અને જો અન્ય જાહેર સંસ્થાઓ પણ આવી વ્યવસ્થાઓ કરે તો ભવિષ્યની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે.

