VIDEO: અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસમાં પોલીસનો મોટો ખુલાસો, જાણો કેવી રીતે બની ઘટના
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટને લઇને પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે લોકોને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.
કેવી રીતે બની ઘટના
JCP સેક્ટર-1 અધિકારી નીરજ બડગુજરે જણાવ્યું કે, 'સવારે 10.45 વાગ્યાની આસપાસ શિવમ રો હાઉસમાં પાર્સલ બ્લાસ્ટનો બનાવ બન્યો હતો. ભોગ બનનાર કિશોરભાઇ અને બલદેવભાઇ સુખડિયાના નામે ગૌરવ ગઢવી પાર્સલ લઇને આવ્યો હતો અને તેમાં બ્લાસ્ટ થયો હતો. ગૌરવ ગઢવીને અન્ય બે આરોપીઓએ પાર્સલ લઇને મોકલ્યો હતો અને તેમના અંદરો અંદરના વિવાદ ચાલતા હતા. પોલીસ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થળ પર ફોરેન્સિકની ટીમ હાજર છે.'
વધુમાં JCP સેક્ટર-1 અધિકારીએ જણાવ્યું કે, એક બીજા સાથે આ લોકોનો વિવાદ ચાલતો હતો અને આ અગાઉ પણ ધમકીઓ મળેલી હતી. ગૌરવ ગઢવી પાર્સલ લઇને આવ્યો હતો અને તેને પાર્સલ આપનારા બીજા બે લોકોના નામ પણ પોલીસને મળી ગયા છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તેમની ધરપકડ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે અને ગુનો નોંધવાની કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ, બે લોકો ઇજાગ્રસ્ત
અંગત અદાવતમાં બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખુલ્યું
ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ સાબરમતી વિસ્તારમાં પાર્સલ આપવા આવ્યો હતો. રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાની હકીકત સામે આવી છે. રૂપેણ બારોટના તેના પત્ની સાથે છૂટાછેડા થયા હતા. જે મહિલા સાથે છૂટાછેડા થયા તે મહિલા બળદેવ ભાઇને ભાઇ માનતી હતી. છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગૌરવ અને અન્ય બે લોકોને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા. આ ઘટનામાં કિશોરભાઇ અને બલદેવ સુખડિયા ઇજાગ્રસ્ત થયા હતા.

