VIDEO: ચાણસ્મામાં આરોપીઓના જાહેરમાં રિ-કન્સ્ટ્રક્શનને લઈ વિવાદ વકર્યો, જાણો શું છે સમગ્ર મામલો
પાટણના ચાણસ્માના ઝીલીયામાં પોલીસ પર થયેલા હુમલા બાદ, આરોપીઓના જાહેરમાં રિ-કન્સ્ટ્રક્શનને લઈ વિવાદ વકર્યો છે. યુવા ક્ષત્રિય સેનાના પ્રમુખ અભિજીત બારડ સહિત આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી જવાબદાર પોલીસ કર્મીઓને બરતરફ કરવાની માંગ કરી છે.ઠાકોર સમાજનો આક્ષેપ છે કે કાયદાના નામે યુવાનોને જાહેરમાં ઢોર માર મારી માનવ અધિકારોનું ઉલ્લંઘન કરાયું છે. જો આગામી સોમવાર સુધીમાં કાર્યવાહી નહીં થાય, તો વામૈયામાં શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદન અપાશે.
શું હતો સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો મુજબ ઝીલીયા ગામે નિર્માણ પામનાર રામાપીરના મંદિરના ફાળા ઉઘરાવવા બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભા (મુડેઠા) વચ્ચે મનદુઃખ થયું હતું. આ અદાવત રાખીને 15 માર્ચની મધરાત્રે આશરે 11:45 વાગ્યે 8 જેટલી ગાડીઓમાં સવાર થઈને આવેલા શખસો ફાર્મ હાઉસ પર હુલ્લડ મચાવ્યું હતું.
પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલીયા ગામે થયેલા હુમલાના કેસમાં 18 જેટલા આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. પકડાયેલા હુમલાખોરોનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસે જાહેરમાં આરોપીઓને મેથીપાક ચખાડી કાયદાનું ભાન કરાવ્યું હતું અને ચાણસ્મા તેમજ જીલીયા ખાતે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું પાલન કરવાની ચેતવણી આપી હતી.

