Patanના સાંતલપુર નજીક ટેન્કર-કાર વચ્ચે ભયાનક અકસ્માત, હાજીપીર દર્શન કરી પરત ફરી રહેલા પરિવારના 4 સભ્યોનાં મોત

પાટણના સાંતલપુર નેશનલ હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગંભીર અકસ્માતને પગલે સાંતલપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.
સાંતલપુર નેશનલ હાઈવે ભયંકર અકસ્માતમાં 4ના મોત
મળતી માહિતી મુજબ, સાંતલપુર નેશનલ હાઇવે પર આજે ગુરુવારે(9 એપ્રિલ, 2026) મોડી સાંજે ગરામડી ગામ નજીક કાર અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કારમાં સવાર પરિવાર હાજીપીર દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતના બનાવમાં કારમાં સવાર 7માંથી 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
વારાહીમાં શોકનો માહોલ
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે સાંતલપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમજ ટેન્કર ચાલક સામે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના ચાર વ્યક્તિઓના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. અને સમગ્ર વારાહી ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના નામ
- જાવેદ અક્ષરભાઈ ઘાંચી (ઉં.વ.25)
- મદીનાબેન અક્ષરભાઈ ઘાંચી (ઉં.વ.46)
- અક્ષરએમદભાઈ ઘાંચી (ઉં.વ.47)
- એમદભાઈ હસનભાઈ ઘાંચી (ઉં.વ.77)

