VIDEO: માવઠાને લઈ પંચમહાલ ડેરીના ચેરમેને પંચામૃત દાણમાં કિલો દીઠ 1 રૂપિયાનો ઘટાડવાની જાહેરાત કરી
VIDEO: ગુજરાતમાં ગત એક સપ્તાહથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. કારતકમાં પણ અષાઢી માહોલ રચાયો છે. ત્યારે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાની નોબત આવી છે. જેથી આ વરસાદથી થયેલા નુકસાનને લઈ પંચમહાલ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પશુપાલકો એક મોટી જાહેરાત કરી છે. જે પ્રમાણે પશુઓને ખવડાવવામાં આવતા પંચામૃત દાણમાં પ્રતિકિલો દીઠ 1 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના મોરવા(રેણાં) વિસ્તારમાં ખેડૂતો સાથે પાક નુક્સાની અંગે મળેલી બેઠકમાં પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે આ અંગેની જાહેરાત કરી હતી.ખેતી પાકની સાથે ઘાસચારાને થયેલા નુકસાનને ધ્યાને લઇ પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો પાસેથી દાણમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવાનો નિર્ણય લીધો છે. એકાદ-બે મહિના સુધી ત્રણેય જિલ્લાના પશુપાલકો પાસેથી પંચામૃત દાણમાં એક રૂપિયો ઓછો લેવામાં આવશે. દાણના ભાવમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો કરવાની જાહેરાતને લઈ પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે.

