Panchmahal/ ગોધરામાં GSTV IMPACT, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ પીનાર યુવક મામલે ફરિયાદ દાખલ

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં વ્યાજખોરોના આતંકનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. GSTVના અહેવાલની જોરદાર અસર જોવા મળી છે, જેમાં માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકની વ્હારે પોલીસ આવી છે. ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકે ત્રણ માથાભારે વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાની માતાની ગંભીર બીમારીની સારવાર માટે નાણાંની જરૂર પડતા વ્યાજખોરો પાસેથી રકમ ઉછીની લીધી હતી. યુવકે ₹1.26 લાખની રકમ લીધી હતી, જેના બદલામાં તેણે અત્યાર સુધીમાં તોતીંગ વ્યાજ સાથે કુલ ₹5 લાખથી વધુની રકમ ચૂકવી દીધી હોવા છતાં, વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી.
માનસિક ત્રાસ અને આત્મહત્યાનો પ્રયાસ
વધારે નાણાં પડાવવા માટે વ્યાજખોરો દ્વારા યુવકને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ નરક સમાન પરિસ્થિતિથી કંટાળીને યુવકે અંતે ફિનાઈલ પીઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આત્મઘાતી પગલું ભરતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે પોતાની આપવીતી જણાવી પોલીસ પાસે ન્યાય અને મદદની ગુહાર લગાવી હતી.
ત્રણ માથાભારે વ્યાજખોરો સામે ગુનો દાખલ
GSTV પર આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે યુવકની ફરિયાદના આધારે ગોધરાના ત્રણ કુખ્યાત વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે:
-
શિવ પારવાણી
-
વીનુ પારવાણી
-
વિવેક આલમચંદાણી
નોંધનીય છે કે, રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેમ છતાં ગોધરા જેવા વિસ્તારોમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. હાલમાં ગોધરા એ-ડિવિઝન પોલીસે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ કાયદાનો ગાળિયો કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

