Panchmahal news: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામેથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. પરિવારના મોભી એવા સસરાને વીજ કરંટથી બચાવવા જતાં 40 વર્ષીય પુત્રવધૂએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર પર આભ ફાટ્યું છે.
કેવી રીતે ઘટી ઘટના?
મળતી માહિતી અનુસાર, ઉમરપુર ગામે રહેતા રયજીભાઈ રવિવારે (22મી ફેબ્રુઆરી) સવારે પોતાના ઘર પાસે દાતણ તોડી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ તેમનો હાથ નજીકમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનને અડી ગયો હતો. હાઈટેન્શન લાઈનનો કરંટ લાગતા રયજીભાઈ સ્થળ પર જ તરફડવા લાગ્યા હતા.
સસરાને મોતના મુખમાં તરફડતા જોઈને પુત્રવધૂ સુશીલાબેન વિલંબ કર્યા વગર તેમને બચાવવા માટે દોડી ગયા હતા. સસરાને બચાવવાના પ્રયાસમાં સુશીલાબેન પોતે પણ વીજ કરંટની લપેટમાં આવી ગયા હતા. કરંટ એટલો જોરદાર હતો કે સુશીલાબેન ઘટનાસ્થળે જ બેભાન થઈ ગયા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
ઘટના બાદ આસપાસના લોકો અને પરિવારજનોએ તાત્કાલિક બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, કમનસીબે સારવાર દરમિયાન સુશીલાબેનનું મોત નિપજ્યું હતું. બીજી તરફ, ગંભીર રીતે દાઝી ગયેલા સસરા રયજીભાઈને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોતાના સસરાનો જીવ બચાવવા માટે પોતાની પરવા કર્યા વગર મોતને વહાલું કરનાર સુશીલાબેનના નિધનથી ઉમરપુર ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. ગ્રામજનો આ બહાદુર પુત્રવધૂના બલિદાનની ચર્ચા કરી રહ્યા છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

