VIDEO: નવસારીમાં પૂરપીડિતોના આંસુ લૂછવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ!
નવસારી જિલ્લામાં પૂર બાદ સ્થિતિ ધીમે ધીમે થાળે પડતાં જ મંત્રીઓ અને લોકપ્રતિનિધિઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો પર મુલાકાત લેવામાં આવી રહી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ સી. આર. પાટીલ તેમના ધર્મપત્ની ગંગાબેન પાટીલ સાથે પૂરપીડિતોની સ્થિતિનો તાગ મેળવવા નવસારી દોડી આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા અને નેતાઓએ ગણદેવી તાલુકાના સોનવાડી ગામના અસરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈને તેમને તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રી પાટીલે સોનવાડી ઉપરાંત ભાઠા ગામ, બીલીમોરા શહેર, ઊંડાચ અને ચીખલી રિવરફ્રન્ટ જેવા ભારે પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પૂરપીડિતોને ઝડપથી રાહત સહાય મળે તે માટે વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપીને તમામ શક્ય મદદની ત્વરિત કવાયત હાથ ધરવામાં આવી છે.

