Navsari/ મરોલી બજારમાં શાકભાજી ભરેલી વાનમાં લાગી ભીષણ આગ, અફરાતફરીનો માહોલ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે. મરોલી બજારમાં શાકભાજી ભરીને જઈ રહેલી એક વાનમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ડ્રાઇવરની સમયસૂચકતાથી જાનહાનિ ટળી
પ્રાથમિક માહિતી મુજબ, જ્યારે વાન બજારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ડ્રાઇવરે વાનમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. ચાલકે જરાય સમય બગાડ્યા વિના તુરંત જ સમય સૂચકતા વાપરીને વાનમાંથી બહાર નીકળી ગયો હતો.
ચાલક બહાર નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં, શાકભાજી ભરેલી આખી વાન આગની લપેટમાં આવી ગઈ અને બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ.
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
આ ઘટનાની જાણ તાત્કાલિક નવસારી ફાયર વિભાગના જવાનોને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો.
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. જોકે, વાન ચાલકને પોતાની વાન અને શાકભાજી બળી જતાં મોટું નુકસાન થયું છે.

