VIDEO: Navsariના ખેરગામમાં પાંજરે પૂરાયો ખૂંખાર દીપડો, દહેશત અનુભવતાં લોકોએ લીધો રાહતનો દમ
નવસારી તાલુકાના ખેરગામ ગામમાં દીપડાની દહેશત વચ્ચે ફરી એક રાહતકારક સમાચાર સામે આવ્યા છે. ગામમાં આવેલા મુસ્લિમ ફળિયામાં આજે સવારે અંદાજે ત્રણ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરાની ઘટનાઓ સતત સામે આવી રહી હતી. ખેરગામના જુદા જુદા વિસ્તારોમાં દીપડાના અવલોકનથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. ઘટનાની જાણ થતા સામાજિક વનીકરણ વિભાગે તાત્કાલિક પગલા લઇને ગામમાં પાંજરા ગોઠવ્યા હતા.શિકારની શોધમાં બહાર નીકળેલા દીપડાએ પાંજરામાં પ્રવેશ કરતા તે પાંજરે પુરાઈ ગયો. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા અને દીપડાને કબજામાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી. વિશેષ ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ ખેરગામ ગામમાંથી એક દીપડો પાંજરે પુરાયો હતો. આમ, માત્ર બે દિવસમાં બે દીપડાઓ પકડાતા સમગ્ર ખેરગામના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

