VIDEO: Navsari પાલિકાની 50 વર્ષ જૂની ઈમારતમાંથી ફતવો, 25 વર્ષ જૂની બિલ્ડીંગના ફિટનેસ રિપોર્ટ કરાવવા આદેશ
નવસારી મહાનગર પાલિકાએ જર્જરિત ઈમારતો મુદ્દે સાર્થક કરી બતાવી છે. કારણ મહાપાલિકાએ શહેરમાં જર્જર અને જોખમી ઈમારતોને ઉતારવાની શરૂઆત સાથે 25 વર્ષ જૂની તમામ ઈમારતોને ફિટનેસ રિપોર્ટ કરાવવા જાહેર નોટીસ થકી આદેશ કર્યો છે. પણ ખુદ મહાનગર પાલિકા કચેરી 50 વર્ષથી પણ વધુ જૂની અને જર્જરિત છે. ત્યારે મહાપાલિકા કચેરીની ફિટનેસ સામે સવાલો ઉભા થયા છે.
દંડ કરવાની વાત
ગાયકવાડી રાજના નવસારી શહેરમાં અનેક નાની મોટી ઈમારતો અને ચાલીઓ વર્ષો વીતવાને કારણે જર્જરિત થવા સાથે જોખમી બની છે. કેટલીક ઇમારતો કે ચાલીઓમાં લોકો રહે છે. કેટલીક ખાલી પડી છે. તત્કાલીન નગર પાલિકા દ્વારા શહેરમાં આવી અઢીસોથી વધારે ઈમારતોને દર વર્ષે નોટીસો આપી સંતોષ માની લેવાતો હતો. જે ચોમાસમાં ભારે વરસાદમાં જમીનદોસ્ત થયાના ભૂતકાળના અનેક કિસ્સાઓ છે. પરંતુ હાલમાં મહાનગર પાલિકા બન્યા બાદ જર્જર ઈમારતોને નોટીસ આપવા સાથે મહાપાલિકાએ વર્ષો જૂની અને જોખમી નટરાજ ચાલી જમીનદોઝ કરી જર્જર ઈમારતો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. તેની સાથે જ શહેરમાં 25 વર્ષોથી જૂની તમામ રહેણાંક અને વ્યવસાયિક ઈમારતોને જાહેર નોટીસ પાઠવી ફિટનેસ રિપોર્ટ કરાવવા આદેશ કર્યો છે. જેમાં ચૂક થશે તો કાયદાકીય પગલા લેવાની પણ ચેતવણી આપી છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસે મહાનગર પાલિકા પ્રથમ પોતાની કચેરીની ફીટનેસ તપાસે અને વ્યવસ્થિત કરે પછી લોકોને દંડવાની વાત કરે એવી માંગ કરી છે.
હજારો લોકોના જીવ જોખમમાં
ગાયકવાડી રાજમાં 90 વર્ષ અગાઉ નવસારી સુધરાઈ અસ્તિત્વમાં આવી હતી. કાળક્રમે જૂની ઈમારત જર્જર થતા લગભગ વર્ષ 1971- 72 માં હાલનું નવું મકાન નિર્માણ પામ્યુ હતું. જેમાં નીચે શાકભાજી માર્કેટ અને ઉપર ત્રણ માળની નગર પાલિકાની ઈમારત બની હતી. જેને પણ આજે 50 વર્ષથી વધુ વર્ષ થયા છે. મહાનગર પાલિકાએ શહેરમાં 25 વર્ષથી જૂની ઈમારતોનું ફિટનેસ રિપોર્ટ માંગી લોકોની જાનમાલના રક્ષણની વાત કરી The G. P. M. C. એક્ટ 1949 અંતર્ગત 264 અને 265 ની કલમ હેઠળ જાહેર નોટીસ આપી છે. પરંતુ પોતાની ઈમારત અત્યંત જર્જર હોવા છતાં સેંકડો કર્મચારીઓ અને નીચે શાકભાજી માર્કેટમાં આવતા રોજના હજારો લોકોના જીવને જોખમમાં મુકી રહી છે. મહાપાલિકા કચેરીનો ફિટનેસ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યાની કર્મચારીઓમાં ચર્ચા છે, તમે છતાં કચેરી ખસેડવાનો વિચાર સુધ્ધા કરવામાં નથી આવ્યો. જોકે મહાપાલિકા કચેરીનો ફિટનેસ રિપોર્ટ કરાવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવાની ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નવસારી મહાનગર પાલિકાએ શહેરના વોર્ડ નં. 13 માં 20 કરોડના ખર્ચે નવી મહાપાલિકા કચેરી બનાવવા ટેન્ડર કર્યું છે, પણ હાલની પોતાની જર્જર ઇમારત મુદ્દે શું પગલાં લે છે એ જોવું રહ્યું..

