Navsari news: નર્મદા લિંક પ્રોજેક્ટ મામલે ભાજપના સી.આર પાટીલ અને કોંગ્રેસ નેતા અનંત પટેલ વચ્ચે વાકયુદ્ધ, જાણો શું છે સમગ્ર મામલો

નવસારીમાં નવા કમલમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, પરંતુ આદિવાસી સમુદાયની લાગણીઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા બાદ આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો.
ડીપીઆર રજૂ કરાતા નથી અને ધારાસભ્યએ આવી ખોટી માહિતી ન ફેલાવવી જોઈએ
સી. આર. પાટીલે ગુજરાતના ધારાસભ્ય તુષાર ચૌધરીના એવા દાવા પર પણ પ્રતિક્રિયા આપી કે જેમાં તેમણે સંસદમાં ડીપીઆર રજૂ થયાનું જણાવ્યું હતું. પાટીલે સ્પષ્ટ કર્યું કે સંસદમાં આ પ્રકારના ડીપીઆર રજૂ કરાતા નથી અને ધારાસભ્યએ આવી ખોટી માહિતી ન ફેલાવવી જોઈએ. આદિવાસીઓના હિતને નુકસાન થાય એવું અમે ક્યારેય કરવાના નથી. તેમણે લોકોને ખોટી અફવાઓથી ભરમાઈ ન જવા અપીલ કરી છે.
નર્મદા લિંક પ્રોજેક્ટને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક લડાઈ શરૂ થઈ
નવસારીમાં તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક લડાઈ શરૂ થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના નિવેદન બાદ અનંત પટેલે વળતો પ્રહાર કર્યો.
જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે પ્રોજેક્ટ સ્થગિત કરવાની વાતને પગલે વિધાનસભાના વિરોધ પક્ષના પ્રવક્તા અનંત પટેલે શ્વેત પત્ર જાહેર કરવાની માંગ કરી.. જો પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હોય તો શ્વેત પત્ર જાહેર કરી આદિવાસીઓમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરો અને જો એવું નહી કરવામાં આવે તો તારીખ 14ના રોજ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી. 14મી ઓગસ્ટે ધરમપુરથી વિશાળ રેલી યોજી પ્રોજેક્ટનું વિરોધ પ્રદર્શિત કરવાના છે.

