"શહેરમાં ભુવા તો પડવાના જ છે..." - ચોમાસાની શરૂઆતમાં જ નવસારીના મેયરનું વિવાદાસ્પદ નિવેદન
નવસારીમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ સ્માર્ટ સિટીની કામગીરી વચ્ચે મેયરનું એક અત્યંત વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. નવસારીના મેયરે જાણે અગાઉથી જ ભવિષ્યવાણી કરી હોય તેમ ખુલ્લેઆમ જણાવ્યું છે કે, "શહેરમાં ભુવા તો પડવાના જ છે..."! મેયરે પોતાના આ નિવેદન પાછળ એવો દાવો કર્યો છે કે, શહેરમાં ડ્રેનેજ અને વરસાદી લાઈનોની મોટાપાયે કામગીરી ચાલી રહી હોવાને કારણે જમીન પોચી થઈ ગઈ છે અને તેના લીધે ભુવા પડવાની પૂરેપૂરી શક્યતા છે. આટલું જ નહીં, વરસાદની સ્થિતિ અને ભુવા પડવાની બાબતને લઈને મેયરે નવસારીની સરખામણી સીધી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરો સાથે કરી દીધી હતી. આ સાથે જ એક આંતરિક બેઠકમાં મેયરે અધિકારીઓ અને પદાધિકારીઓને મીડિયાથી બચવાની અનોખી સલાહ આપતા કહ્યું કે, "જો મીડિયાવાળા કોઈ મુદ્દે જગાડવાનો કે ઉશ્કેરવાનો પ્રયત્ન કરે, તો કોઈએ પણ આવેશમાં આવવું નહીં." ચોમાસાના પ્રારંભે જ જનતાને સુવિધા આપવાના બદલે મેયરના આવા નકારાત્મક અને બેજવાબદાર નિવેદનને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.

