સરદાર સરોવરના ઉપરવાસના ગામના વિદ્યાર્થીઓની તબિયત બગડી, ઝેરી બીજ ખાઈ લેતા હોસ્પિટલ ખસેડાયા

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરના ઉપરવાસનો ભાગ મહારાષ્ટ્રમાં પણ આવેલો છે. ત્યારે મહારાષ્ટ્રના મણીબેલી ગામની શાળાના વિદ્યાર્થીઓ રિશેષમાં રમતાં રમતાં જંગલી બીજ ખાઈ ગયા હતાં. આ બીજ ઝેરી હોવાથી 11 જેટલા વિદ્યાર્થીઓની હાલત બગડી હતી. જેથી તમામને તાત્કાલિક સારવાર માટે બોટ એમ્બ્યુલન્સની મદદથી ગરુડેશ્વર લાવવામાં આવ્યાં હતાં.
તબિયત લથડતાં તંત્ર દોડતું થયું
બાળકોની તબિયત અચાનક લથડ્યા બાદ ઉલટી કરવા લાગ્યા હતાં. જેથી શાળા દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક સારવાર હેઠળ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. અહિં હાલ બાળકોની સારવાર ચાલી રહી છે. તમામ બાળકોની હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બોટ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લવાયા
મણીબેલી ગામથી ડેમનાં પાછળનાં વિસ્તારમાં આ ગામો આવેલા છે. જેથી બોટ એમ્બ્યુલન્સમા વિદ્યાર્થીઓને ગરુડેશ્વર લાવવામા આવ્યા હતાં. સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવતા મહારાષ્ટ્રના 10થી વધુ ગામો છે. જેનો વ્યવહાર નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર સાથે છે. આ મહારાષ્ટ્રના મણીબેલી ગામની સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલની રિશેષમાં રમતા રમતા કોઈ જંગલી ઝેરી બી ખાધા હોવાની વાત સામે આવી રહી છે. હાલ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે જ્યાં તબિયત સુધારા પર છે.

