VIDEO: સાગબારામાં જંગલ જમીન વિવાદનો છઠ્ઠા દિવસે પણ ઉકેલ નહીં, ભાજપના નેતાઓ આદિવાસી ખેડૂતોના ધરણામાં જોડાયા
નર્મદા જિલ્લાના સાગબારા ખાતે ચાલી રહેલો જંગલ જમીનનો વિવાદ આજે (13મી ઓગસ્ટ) છઠ્ઠા દિવસે પણ વણઉકેલાયેલો રહ્યો છે. પોતાના હક્ક અને જંગલ જમીન ખેડાણ માટે આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા ધરણા પ્રદર્શન સતત છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યા હતા. આ મુદ્દે હવે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે.
ભાજપના આગેવાનો ધરણા સ્થળે પહોંચ્યા
આદિવાસી ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા અને તેમની માંગણીઓ સાંભળવા માટે આજે દેડિયાપાડા વિસ્તારના ભાજપના વરિષ્ઠ નેતાઓ અને આગેવાનો ધરણા સ્થળે પહોંચ્યા હતા. પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા અને ભાજપ આગેવાન શંકર વસાવા સહિતના અગ્રણીઓએ આદિવાસીઓ સાથે ધરણા પર બેસીને તેની સમસ્યાઓ સાંભળી હતી. તેણે આદિવાસી ખેડૂતોની માંગણીઓ અંગે રાજ્ય સરકારમાં યોગ્ય રજૂઆત કરીને સુખદ ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
આદિવાસીઓ મક્કમ: ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે
બીજી તરફ, જંગલ જમીનના ખેડાણ મુદ્દે આદિવાસી ખેડૂતો પોતાના વલણ પર મક્કમ દેખાઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર દ્વારા તેમને યોગ્ય અને સંતોષકારક ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ધરણા આંદોલન અવિરતપણે ચાલુ રાખવામાં આવશે.
કાલે કોંગ્રેસના નેતાઓ મુલાકાત લેશે
જંગલ જમીનનો વિવાદ દિન-પ્રતિદિન વધુ ઘેરો બની રહ્યો છે ત્યારે રાજકીય ગરમાવો પણ વધ્યો છે. ભાજપના નેતાઓની મુલાકાત બાદ હવે આવતીકાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ આદિવાસી ખેડૂતોને મળવા અને તેમનું સમર્થન કરવા માટે સાગબારા પહોંચવાના છે.

