'જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે'...ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર

આમ આદમી પાર્ટી (AAP) દ્વારા દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય હેતુ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થયેલા "ખોટા કેસ અને ધરપકડ"ના વિરોધમાં તેમનું સમર્થન કરાયું હતું. આ સભામાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેર સભાને સંબોધી હતી. કેજરીવાલે કહ્યું કે, ચૈતર વસાવાએ સરકારના 2500 કરોડથી વધુના કૌભાંડ ઉજાગર કર્યા હોવાથી તેમને જેલમાં ધકેલવામાં આવ્યાં છે. સભામાં ચૈતર વસાવાના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
કરોડનું કૌભાંડ બહાર પાડ્યું એટલે જેલમાં
કેજરીવાલે ચૈતર વસાવાને જેલમાં મોકલવા પાછળનું મુખ્ય કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે, આ ભાજપવાળા એટલા ગંદા છે. 2,500 કરોડનું મનરેગા કૌભાંડ બહાર લાવ્યું, તો એમણે ચૈતરભાઇને જેલમાં મોકલાવી દીધા.અરવિંદ કેજરીવાલે ભાજપના નેતાઓની જીવનશૈલી પર કટાક્ષ કરતા કહ્યું કે, એમનો નેતા સાયકલ લઈ ફરતો હોય છે, પણ એકવાર નેતા બને તો બંગલા બની જાય છે. આ ભ્રષ્ટાચારના કારણે જ શક્ય બને છે. તેમણે આરોપ મૂક્યો કે, આ સરકાર સ્કૂલ, દવાખાના, જળ, જંગલ અને જમીન ના પૈસા ખાઇ ગઇ. આનાથી આદિવાસી સમાજના વિકાસને અવરોધાયો છે અને તેમના હક છીનવાયા છે.
લૂંટવામાં ભાજપ-કોંગ્રેસ એક
AAPના નેતાઓએ ભાજપ અને કોંગ્રેસ પર એકસાથે પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપ, કોંગ્રેસ ભેગા થઈને લોકોને લૂંટે છે. તેમણે આરોપ મૂક્યો કે, આ બંને પાર્ટીઓ એક જ છે અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે કોઈ બીજી પાર્ટી આવે.આમ આદમી પાર્ટીએ આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે જાહેરાત કરી કે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, યુવાનોને ટિકિટ આપીશું. આ પાર્ટી ગરીબોની પાર્ટી છે. તેમણે યુવાનોને આહ્વાન કરતાં કહ્યું કે, યુવાનો ઊભા થાવ અને બધા આગળ આવો.

