સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, 22 સપ્ટેમ્બરે કેવડિયામાં સર્જાશે ઐતિહાસિક અવસર

નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2024નો ભવ્ય સમારોહ તા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનાર છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના 70 વર્ષથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે, જે ગુજરાત અને નર્મદા જિલ્લા માટે વિશેષ ગૌરવની ક્ષણ બની રહેશે.
ભારતીય સિનેમા જગતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનિત કરતા આ રાષ્ટ્રીય સમારોહમાં કુલ 92 પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આશરે 75 મિનિટના ભવ્ય સમારોહમાં પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ માળખું તૈયાર કરાશે
રાષ્ટ્રીય કક્ષાના આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે એરિયા ખાતે જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે અંદાજે 1,000 મહેમાનોની બેઠક ક્ષમતા સાથે જરૂરી માળખાકીય અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.
કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજન અંગે બેઠક
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જેવા અતિમહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું સુચારૂં અને ગરિમાપૂર્ણ આયોજન થાય તે માટે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા, સુરક્ષા, પ્રોટોકોલ, મહાનુભાવોના આગમન-પ્રસ્થાન, સ્થળ વ્યવસ્થા તેમજ અન્ય આનુષંગિક તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નર્મદા માટે ઐતિહાસિક ગૌરવની ક્ષણ
વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિમાં યોજાનાર આ રાષ્ટ્રીય સમારોહ નર્મદા જિલ્લાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક આગવી ઓળખ અપાવશે. દેશના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કારો પૈકીના એક સમારોહની યજમાની કરવાની તક ગુજરાત અને ખાસ કરીને એકતાનગર-કેવડિયાને મળવી એ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે.

