Narmada news: ઉપરવાસમાંથી પાણીની વિપુલ આવકને લીધે નર્મદા ડેમના ફરી 10 ગેટ ખોલવામાં આવ્યા

Narmada news: સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે ત્યારે નર્મદા ડેમના ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ છે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. વિપુલ માત્રામાં પાણીની આવકથી નર્મદા ડેમની સપાટી સિઝનમાં બીજીવાર 136 મીટરને પાર પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, હાલ રાજ્યમાં સંપૂર્ણપણે વરસાદ બંધ છે અને ઉઘાડ નીકળ્યો છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં ફરી વધારો થતા ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચતા ડેમના 10 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 1,12,740 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે નર્મદાના 10 ગેટમાંથી 1,20,112 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
હાલ નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક થતાની સાથે તંત્રએ 10 ગેટ 1.04 મીટર ખોલી પાણી છોડવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની મહત્ત્મ સપાટી 138.68 મીટર છે.

