VIDEO: વિસનગરમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિવ્યાંગો માટે નિઃશુલ્ક સાધન વિતરણ કેમ્પ યોજાયો
મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલના પ્રયાસોથી મંજૂર થયેલ ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત, વિસનગર બજાર સમિતિ ખાતે ઊર્જા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને સાંસદશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ અમદાવાદના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિસનગર વિસ્તારના ૩૨૩ દિવ્યાંગ લાભાર્થીઓને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગોને 'દિવ્યાંગ' નામ આપી સામાજિક સન્માન અપાવ્યું છે અને આ સાધનો તેમની લાચારીને સ્વભિમાનમાં બદલવાનું કામ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર જિલ્લાના ઓળખ કરાયેલા ૧૭૩૯ દિવ્યાંગોમાંથી ૧૦૦૦ લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા અને બાકીના ૭૩૯ દિવ્યાંગોને વીજ કંપનીના સામાજિક ઉત્તરદાયિત્વ ભંડોળમાંથી સાધનો ઉપલબ્ધ કરાવીને છેવાડાના માનવી સુધી સહાય પહોંચાડવામાં આવશે.

