Mehsana: કમોસમી વરસાદની અસર, ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં ₹300નો ઉછાળો!

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને એક તરફ મોટું નુકસાન થયું છે, તો બીજી તરફ હવામાનની અનિશ્ચિતતાએ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં અણધાર્યો વધારો નોંધાવ્યો છે. કમોસમી વરસાદના કારણે 20 કિલોએ ₹300 કરતાં વધુનો વધારો જીરાના ભાવમાં જોવા મળ્યો છે.
ભાવ વધારા પાછળના મુખ્ય કારણો
વેપારીઓના મતે, જીરાના ભાવ વધવા પાછળ મુખ્યત્વે બે પરિબળો જવાબદાર છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો રવિ પાક, ખાસ કરીને જીરાનું, વાવેતર મોડું કરશે તેવી શક્યતા છે. બીજું એ કે ખરાબ હવામાન અને નુકસાનના ડરને કારણે ખેડૂતો જીરાનું વાવેતર ઘટાડી શકે છે, જે આવકમાં ઘટાડો કરશે.
હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની દૈનિક 14000 થી 15000 બોરીની આવક નોંધાઈ રહી છે. વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજી પણ ખરાબ રહેશે તો ભાવમાં થોડો વધુ વધારો જોવા મળી શકે છે. જોકે, જો હવામાન સુધરશે તો હાલના ભાવ સ્થિર રહેશે તેવી શક્યતા છે.

