Gujarat news: BZ કૌભાંડ મામલે CIDએ રાજ્યમાંથી ત્રણ શખ્સોની કરી ધરપકડ

ગુજરાતમાં BZ કૌભાંડ મામલે CID તપાસ ફરીથી શરૂ થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે હિંમતનગર, બાયડ અને પાલનપુરથી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
CID એ અલગ અલગ ટીમો રચી ત્રણ સ્થળોથી આરોપીઓને ઝડપ્યા છે.
BZ ગ્રુપમાં એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવી
હિંમતનગરના ભગવાન ઉપાધ્યાય, બાયડના ધર્મેન્દ્ર જયસ્વાલ અને પાલનપુરના પ્રકાશ વેણની ધરપકડ કરવામાં આવી છે.ત્રણેય શખ્સોએ BZ ગ્રુપમાં એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવી હતી,એજન્ટ તરીકે અનેક રોકાણકારોના રૂપિયા BZમાં રોકાણ કરાવ્યા હતા.
BZ ગ્રુપ કૌભાંડ શું છે?
ગુજરાતમાં BZ ગ્રુપ કૌભાંડ એક મોટું નાણાકીય કૌભાંડ છે જેમાં BZ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને BZ ગ્રુપ નામની કંપનીઓએ લોકોને બેંકો કરતાં વધુ વ્યાજ (લગભગ 7% માસિક અથવા 84% વાર્ષિક) અને ઊંચું રિટર્ન આપવાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જે BZ ગ્રુપનો CEO હતો. આ કંપનીએ એક પોન્ઝી સ્કીમ ચલાવી, જેમાં નવા રોકાણકારોના પૈસામાંથી જૂના રોકાણકારોને વ્યાજ ચૂકવવામાં આવતું હતું.
શરૂઆતમાં આ કૌભાંડનું કદ 6,000 કરોડ રૂપિયાનું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ CID ક્રાઇમે જણાવ્યું કે ખરેખર આ રકમ લગભગ 172 કરોડ રૂપિયાની છે. આ રકમ 11,232 રોકાણકારો પાસેથી એકત્ર કરવામાં આવી હતી.
BZ ગ્રુપે ગુજરાત અને રાજસ્થાનમાં 17 શાખાઓ ખોલી હતી જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર, પાલનપુર, રાયગઢ, ભિલોડા, ખેડબ્રહ્મા, ગાંધીનગર, રણાસણ, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપુર (રાજસ્થાન), અને રાજુલા (અમરેલી) નો સમાવેશ થાય છે. આ શાખાઓ દ્વારા 3,000થી વધુ એજન્ટોનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું.

