VIDEO: Mahisagar / બેડવલ્લીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગતા તંત્રમાં દોડધામ; ગ્રામજનોને મનાવવા ભાજપના નેતાઓ દોડતા થયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ગામે તંત્ર અને રાજકીય પક્ષોની ઊંઘ ઉડાડી દીધી છે. વર્ષો જૂની રોડના દબાણની સમસ્યાનો ઉકેલ ન આવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ એકસૂરે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. ગામમાં ઠેર-ઠેર બહિષ્કારના બેનરો જોવા મળી રહ્યા છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, "જ્યાં સુધી રોડનું દબાણ દૂર નહીં થાય, ત્યાં સુધી મતદાન કરવામાં આવશે નહીં." આ આક્રમક વલણને જોતા ચૂંટણી અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ગામમાં બહિષ્કારની ખબર મળતા જ ભાજપના જિલ્લા પ્રમુખ દશરથ બારીયા સહિતના અગ્રણી નેતાઓ તાત્કાલિક બેડવલ્લી પહોંચ્યા હતા. અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગ્રામજનો પોતાની માંગ પર મક્કમ છે. ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી રોડનું દબાણ દૂર નહીં થાય, ત્યાં સુધી મતદાન કરવામાં આવશે નહીં.

