Mahisagar news: નળસે જળ કૌભાંડમાં CID ક્રાઇમે વડોદરા ભાજપના નેતા મુકેશ શ્રીમાળીની કરી ધરપકડ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નળસે જળ યોજના ચાલી રહી છે, ત્યારે આ યોજના અંતર્ગત મહિસાગરમાં કૌભાંડ આચરનારા વધુ એક નેતાજીની CID ક્રાઈમે ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે મહીસાગર જિલ્લામાં 123 કરોડના નળસે જળ કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને નવી સફળતા મળી છે. વડોદરાના ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરી છે.
શ્રીમાળી પાસેથી હજુ 1.76 કરોડ રિકવર કરવાના બાકી
ઉલ્લેખનીય છે કે સમગ્ર તપાસમાં બહાર આવ્યું છે કે શ્રીમાળી પાસેથી હજુ 1.76 કરોડ રિકવર કરવાના બાકી છે.આ કેસમાં અત્યાર સુધીમાં ચિરાગ પટેલ અને ધર્મેન્દ્ર માલીવાડ સહિત કુલ 3 ભાજપ નેતા અને 15 ઈજારદારો મળી કુલ 19 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
714 પૈકી 620 ગામોમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું
જિલ્લાના 714 પૈકી 620 ગામોમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. કૌભાંડીઓ જેલમાં જઈ રહ્યા છે, પરંતુ પ્રજા માટે યક્ષ પ્રશ્ન એ છે કે અધૂરી યોજનાઓ ક્યારે પૂરી થશે અને તરસ્યા ગામોને ક્યારે પાણી મળશે?

