Video/ ગુલાબી રંગે રંગાયું Kutchનું રણ, 1 લાખથી વધુ સુરખાબનો જમાવડો
શિયાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છના રણપ્રદેશમાં લાખોની સંખ્યામાં સુંદર સ્થળાંતરિત જળચર પક્ષીઓ, સુરખાબ (Flamingo)નું આગમન થયું છે. હાલમાં રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં એક લાખથી વધુ ફ્લેમિંગોનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે, જે આગામી સમયમાં ત્રણથી ચાર લાખને પાર કરી જવાની શક્યતા છે.
'સેકન્ડ રોડ ટુ હેવન' પર સુરખાબનો જમાવડો
સુરખાબની આ વસાહત ખડીર બેટના અમરાપરથી લોદ્રાણી જાગીર તરફ જતા 'સેકન્ડ રોડ ટુ હેવન' માર્ગ વચ્ચેના રણ વિસ્તારમાં જોવા મળી રહી છે. હાલમાં લગભગ સવા લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી નોંધાઈ છે. આ નજારો માણવા માટે પ્રવાસીઓ ઘડીભર રોકાઈ જતા હોય છે. આ પક્ષીઓ પોતાની જન્મભૂમિ પર શિયાળો ગાળી ઉનાળા દરમિયાન ફરી દેશ-વિદેશમાં ફેલાઈ જાય છે. કચ્છનું મોટું અને નાનું રણ ગ્રેટર અને લેસર ફ્લેમિંગો બંને માટે વિશેષ સ્થાન ધરાવે છે.
વન વિભાગની વિશેષ પહેલ
છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરીમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે, જેનું એક કારણ વન વિભાગ દ્વારા 2019થી શરૂ કરવામાં આવેલી ખાસ પહેલ છે.
કચ્છનો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાય વેનો ભાગ હોવાથી, વન વિભાગે સુરખાબના પ્રજનન માટે રણમાં ખાસ સી આકારના ડેઝર્ટ પોઈન્ટ અને લીનીયર પ્લેટફોર્મ (માટીના પાળા) ઊભા કર્યા છે. આ પ્લેટફોર્મ્સને કારણે તેમના માળાના પાળાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે, જેનાથી ઇંડાઓ સલામત રહે છે અને નવા પક્ષીઓના જન્મની પ્રક્રિયામાં વધારો થયો છે. આ પહેલને કારણે, જ્યાં પાંચ વર્ષ પહેલાં લગભગ એકથી સવા લાખ સુરખાબ નોંધાતા હતા, તે આંકડો ગત વર્ષે 3 થી 4 લાખ સુધી પહોંચ્યો હતો.
એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી
રણમાં ખારું અને વરસાદનું મીઠું પાણી મિશ્રિત થવાથી ત્યાં અતિ સૂક્ષ્મ વનસ્પતિઓ અને જીવાતો જન્મ લે છે, જે Flamingo નો મુખ્ય ખોરાક છે. એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી કચ્છના મોટા રણમાં આવેલી છે, જેને 1986માં સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાના હેતુથી રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય જાહેર કરાયું હતું.
સુરખાબના માળાનું પ્રથમ નિરીક્ષણ 1883 માં સ્વર્ગસ્થ મહારાવ ખેંગારજી દ્વારા થયું હતું.
વન કર્મીઓ દ્વારા અધિકારીઓની રાહબરી હેઠળ સતત પેટ્રોલીંગ પણ કરવામાં આવતું રહે છે, જેથી આ સુંદર જળચર પક્ષીઓ અને અન્ય વન્ય પ્રાણીઓની સલામતી જળવાઈ રહે.

