VIDEO: સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં 155મી સાકર વર્ષા ઉત્સવની ઉજવણી, શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી સાકર ઝીલી
VIDEO: આણંદ કરમસદમાં આવેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે 155મી સાકર વર્ષા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન મંદિર ખાતે સંતો, મહંતોની હાજરીમાં 40 મણ સાકર અને 5 મણ કોપરાના પ્રસાદીની ઉછામણી કરવામાં આવી હતી. જે દરમ્યાન શ્રદ્ઘાળુઓએ ભક્તિભાવ સાથે સાકર ઝીલી હતી.
નડિયાદ શહેરના જાણીતા સંતરામ મંદિરનાં મહંત પૂજ્ય શ્રી મુરારિદાસજી મહારાજ સહિત સંતોએ સાકર ઉછાળીને સાકર વર્ષાનો પ્રારંભ કર્યો હતો. સાથે મંદિરનાં શિખર પરથી સેવકો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી. મુરારિદાસજી મહારાજના સાંનિધ્યે મંદિર પરિસર દર્શનાર્થીઓથી ઉભરાયું હતું.
સવારે શરૂ થયેલા સાકર વર્ષા ઉત્સવમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયું હતું. 40 મણ સાકર તેમજ કોપરાનો પ્રસાદ આજની સાકરવર્ષામાં વહેંચાયો હતો. આજે સંતરામ રોડ પર સવારથી જ મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે મંદિર પરિસર સહિત સમગ્ર ગામતળ વિસ્તારમાં જય મહારાજની ધૂન સાથે ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

