Kheda: ડાકોરમાં તંત્ર અને ટેમ્પલ કમિટીના આયોજનના દાવાઓ પોકળ; સામાન-ચપ્પલ સાચવવાની વ્યવસ્થા શૂન્ય
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મહાપર્વ નિમિત્તે 'કાળિયા ઠાકોર'ના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભક્તિના આ મહાકુંભમાં જિલ્લા વહીવટી તંત્ર અને ટેમ્પલ કમિટી દ્વારા સુચારૂ વ્યવસ્થાના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. ખાસ કરીને પગરખાં અને સામાન સાચવવાની વ્યવસ્થાના અભાવે ભક્તોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાથમાં ચપ્પલ લઈને શ્રીજીના દર્શન કરવાની નોબત
મંદિર પરિસરમાં ચપ્પલ રાખવા માટેની કોઈ ચોક્કસ કે સુદ્રઢ વ્યવસ્થા ન હોવાથી ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લાખોની ભીડ વચ્ચે ભક્તોએ પોતાના કિંમતી બુટ-ચપ્પલ ચોરાઈ જવાની બીકે અથવા તો ક્યાંય મૂકવાની જગ્યા ન મળતા, તેને હાથમાં ઉંચકીને અથવા પહેરીને જ મંદિરના ગર્ભગૃહ સુધી જવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યોએ મંદિરની ગરિમા અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
કચરામાં ફેંકાય છે લાખોના ચપ્પલ: ભક્તોને આર્થિક નુકસાન
અગાઉના અનુભવો પરથી જોવા મળ્યું છે કે હોળી-પૂનમના મેળા બાદ ડાકોર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં લાખો રૂપિયાની કિંમતના ચપ્પલો અને પગરખાં કચરા સ્વરૂપે પડી રહેલા જોવા મળે છે. ભીડમાં ચપ્પલ ખોવાઈ જવાને કારણે ભક્તોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. વહીવટી તંત્ર દ્વારા ટોકન સિસ્ટમ કે પગરખાં માટેના અલગ કાઉન્ટર ઉભા કરવામાં ન આવતા દર વર્ષે આ જ સ્થિતિનું પુનરાવર્તન થાય છે.
જિલ્લા વહીવટી તંત્ર અને ટેમ્પલ કમિટી દર વર્ષે આયોજનની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ લાખો પદયાત્રીઓ માટે પ્રાથમિક સુવિધા જેવી કે પગરખાં સ્ટેન્ડ બનાવવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે.

