નડિયાદ: વણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના, અકસ્માતમાં બાઈક સવાર 3 યુવાનોના મોત

મૂળ ગોધરાના વિજયસિંહ બળવંતસિંહ ચૌહાણ ઉત્તરાયણ પર્વને લઈ પોતાની સાસરી ઝાલા બોડી જેસાપુરા ખાતે આવ્યા હતા. રવિવારે સાંજના સુમારે તેઓ સંબંધીને અકસ્માત થતા નરેશભાઈ રાવજીભાઈ ડાભી તથા નિલેશકુમાર રમણભાઈ ડાભી સાથે વિજયસિંહ બાઈક ઉપર નડિયાદ જવા માટે નીકળ્યા હતા.
અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારી
સમી સાંજના સુમારે આ ત્રણેય યુવકો ઉમરેઠ નડિયાદ રોડ ઉપર આવેલી પણસોરા ચોકડીથી આગળ વણસોલ સીમમાં આવેલી એક રાઈસ મીલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી ચડેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણેય યુવકો રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતમાં ત્રણેય યુવકોને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર: પ્રેમ પ્રકરણમાં યુવાનને 5 શખ્સોએ માર્યો ઢોર માર, કારમાં પણ કરી તોડફોડ
ત્રણ યુવાનોના મોત
અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. જાણ કરતાં ૧૦૮ તથા ભાલેજ પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ૧૦૮ના કર્મચારીઓએ તપાસીને ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સુરેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોઢા પરમારની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

