VIDEO: વિસાવદરમાં રામદેવપીર આશ્રમમાં ધગધગતા અગ્નિ કુંડ વચ્ચે મહંતની કઠોર તપસ્યા
ચૈત્રી નવરાત્રી એટલે શક્તિની આરાધનાનો પર્વ. આ નવરાત્રીમાં ઠેર ઠેર અનુષ્ઠાન થતા હોય છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે આસ્થાનું એક અનોખું અને દિલધડક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અહીં રામદેવપીર આશ્રમ ખાતે મહંત દ્વારા લોકકલ્યાણ અને ગૌરક્ષા અર્થે ધગધગતા અગ્નિ કુંડ વચ્ચે બેસીને અત્યંત કઠોર તપ કરવામાં આવી રહ્યું છે. અહીંના પ્રખ્યાત રામદેવપીર આશ્રમમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવ ગ્રહોના શાંતિ અર્થે એક વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ યજ્ઞ સામાન્ય નથી.આ યજ્ઞની વિશેષતા એ છે કે, અહીં આશ્રમના મહંત નવ-નવ ધગધગતા યજ્ઞ કુંડની મધ્યમાં, ઉઘાડે શરીરે બેસીને કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે.
મહંતનુ અગ્નિ કુંડ વચ્ચે બેસીને અત્યંત કઠોર તપ
ભીષણ ગરમી અને આસપાસ પ્રજ્વલિત અગ્નિની જવાળાઓ વચ્ચે મહંત એકચિત્તે પ્રભુ ભક્તિમાં લીન જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય છે. મંહતે જણાવ્યું હતું કે આપણા હૃદયમાં કોઈના માટે કુભાવના નથી, પરંતુ સનાતન ધર્મની રક્ષા માટે દરેક વ્યક્તિએ જાગૃત થવું પડશે. સત્ય અને ધર્મને બચાવવા માટે આપણે ધર્મનું પાલન કરવું જ પડશે. ધર્મ જ ધર્મને બચાવશે અને આપણે ધર્મને બચાવીશું તો જ ધર્મ આપણને બચાવશે.
મંત્રશક્તિના પ્રભાવથી ભગવાન શ્રી રામચંદ્રજીમાં જ મારી અતૂટ શ્રદ્ધા
જ્યાં સુધી મને ભગવાન શ્રી રામકૃષ્ણ પરમાત્માના સાક્ષાત્ દર્શન ન થાય અને જ્યાં સુધી હું સનાતન ધર્મ અને ગાય માતાની રક્ષા અને સુખ-શાંતિ ન જોઈ શકું ત્યાં સુધી આ સાધના ચાલુ રહેશે. દરેકના ઘરે ગાય માતાની સેવા-પૂજા થતી ન જોઉં ત્યાં સુધી આ અનુષ્ઠાન ચાલશે. આમાં નવ યજ્ઞ છે, જે નવ ગ્રહોને અર્પિત છે. નવ દુર્ગા અને નારાયણી શક્તિને આ આહુતિ આપવામાં આવે છે. હું ભગવાન શ્રી રામચંદ્રજીના નામનું અનુષ્ઠાન કરું છું. મારા જન્મયોગ અને મંત્રશક્તિના પ્રભાવથી ભગવાન શ્રી રામચંદ્રજીમાં જ મારી અતૂટ શ્રદ્ધા છે.

