Junagadh / માંગરોળના રઈજ ગામ નજીક સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી; 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત

ગુજરાતમાં દિવસે અને દિવસે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢના માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક સોમનાથથી દ્વારકા જતી ભાવનગરના શ્રદ્ધાળુઓની એક ખાનગી બસ પલટી મારી ગઈ છે. જેમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કંપારીભર્યા મોત નિપજ્યાં છે જ્યારે અનેક ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રોઝડું (નીલગાય) આડું ઉતર્યું
પ્રાથમિક માહિતી મુજબ આ ખાનગી બસમાં 40થી વધુ ભાવનગરના શ્રદ્ધાળુઓ સવારી કરી રહ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન કરીને દેવભૂમિ દ્વારા જવા નીકળ્યા હતા, રઈજ ગામ પાસે પહોંચતા રસ્તા વચ્ચે રોઝડું (નીલગાય) આવી ગયું હતું. જેથી બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં બે શ્રદ્ધાળુઓએ અકસ્માત સ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને દાખલ કરાયા
અચાનક બનેલી આ ઘટનાથી સવાર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઈજાગ્રસ્તોની ચીસો સાંભળી આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. અને બસમાંથી શ્રદ્ધાળુઓને બહાર કાઢી તાત્કાલિક 108ની મદદથી કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં દાલખ કર્યા હતા.

