Junagadh news: વિસાવદરના શોભાવડલા ગામે સગીરે ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરી દાટી દીધા, જાણો આખો મામલો

Junagadh news: જૂનાગઢ જિલ્લામાં વિસાવદરના ખોબા જેવડાં શોભાવડલા ગામમાં ટ્રિપલ હત્યાથી આખા પંથકમાં ચકચાર મચી છે.શોભાવડલા ગામના ખોડિયાર મંદિરમાં રહેતા સગીરે તેના સગા ભાઈ, ગર્ભવતી ભાભીની હત્યા કરી નાખી હતી. હત્યાના 15 દિવસ બાદ પાપ છાપરે ચઢીને પોકારે તેમ ચોકાવનારો હત્યાકાંડનો ખુલાસો થયો છે. ટ્રિપલ મર્ડરને લઈ ચારેબાજું ચર્ચા થઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના શોભાવડલા અને કાનાવડલાની વચ્ચે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે બિહારનો એક પરિવાર વર્ષોથી રહી સેવા પૂજા કરતો હતો. આ પરિવારમાં એક માતા તેમના બે સંતાન અને એક પુત્રવધૂ રહેતા હતા. સગીર ભાઈએ તેમના પરણિત ભાઈ શિવમગીરી અને તેમની ગર્ભવતી ભાભી કંચનબેનની હત્યા કરી તેના મૃતદેહને મંદિરમાં આવેલા ઢાળિયામાં ખાડો ખોદી દાટી દીધા હતા. ત્યારબાદ કંચનબેનના પિતા તેમની સાથે વાત કરવા માટે અવારનવાર મોબાઇલ પર ફોન કરતા હતા પરંતુ તેમનો સંપર્ક ન થયો અને બાદમાં હત્યારા સગીર તથા તેની માતાએ કંચનબેન અને તેમના પતિ શિવમગીરીનીનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનો ડોળ કર્યો હતો. કંચનબેનના પિતાએ તેમના અકસ્માત વાળા ફોટો, મૃતદેહ સહિતની વિગતો માંગી તો જવાબ ન આપતા તેને કંઈક અજુગતું થયું હોવાનો શક જતા તેઓ રૂબરૂ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પોલીસે કંચનબેનના પિતાની ફરિયાદના આધારે ગુમ સુધા દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન પોલીસને ચોકાવનારી હકીકત સામે મળી કે મૃતક શિવમગીરીના સગા ભાઈ જ શિવમગીરીની તથા તેમના ગર્ભવતી પત્ની કંચનબેનનુ ઢીમ ઢાળી દીધું છે. બન્નેની હત્યા કરી તેના મૃતદેહને મંદિરના ઢાળિયાના ખાડો ખોદી દાટી દીધા હતા. પોલીસે મૃતદેહને બહાર કાઢી ફૉરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર બનાવવામાં સગીરે પહેલા તેમના ભાઈને માથાના ભાગે પાઈપના ઘા મારી હત્યા કરી, ત્યારબાદ તેમની ભાભીની તેવી જ રીતે હત્યા કરી હતી. બાદમાં બંનેને નિર્વસ્ત્ર કરી લાશને ખાડામાં દાટી દીધી હતી.
આરોપી સગીર ભાઈએ મૃતક ભાઈ અને ભાભીનાં કપડાને સળગાવી દીધા હતા. સગીરે તેમના ભાઈ ભાભીની હત્યા કરી ત્યારે લોહીના ડાઘ ઘરમાં હતા. ડાઘ દૂર કરવા તેની માતાએ તથા સગીરે મળી ઘરમાંથી તથા પાઈપમાંથી લોહીનાં ડાઘ કાઢી નાખ્યાં હતાં અને માતાએ પણ હત્યા બાદ પુરાવાનો નાશ કરવા સગીરને મદદ કરી હતી. માતા સમગ્ર હત્યાકાંડ અંગે જાણતી હોવા છતાં પોલીસને તથા કંચનબેનના પિતાને ગેરમાર્ગે દોરી હત્યાના બનાવને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ બંનેની પોલીસે આકરી પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર મામલે પોલીસે શિવમગીરી તેમના પત્ની કંચનગીરી અને ગર્ભમાં રહેલા બાળકની હત્યા કરવાના ગુના સબબ ત્રિપલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

