Junagadh News: કલેકટર કચેરીના પટાંગણમાં બિન રાજકીય ખેડૂત સંમેલન યોજાયું, ખેડૂતોની ત્રણ માગ કરતું આવેદન પત્ર કલેકટરને સોંપાયું
ખેડૂતોને સરકારે આપેલા રાહત પેકેજથી અસંતોષ થતા જુનાગઢમાં બિન રાજકીય ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મુખ્ય ત્રણ માગ કરવામાં આવી છે, અને જો આ માંગણી નહીં સ્વીકારાય તો 12 દિવસમાં ખેડૂતો ગાંધીનગરની કૂચ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
'ખેડૂતોને લોલીપોપ સમાન રાહત પેકેજ જાહેર કરાયું'
કમોસમી વરસાદના કારણે ખેતીપાકને ખૂબ મોટું નુકસાન થયું છે. સરકાર દ્વારા 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો રાહત પેકેટને લોલીપોપ ગણાવી રહ્યા છે. આજે જૂનાગઢમાં કિસાન કોંગ્રેસના અગ્રણી પાલ આંબલીયા, આમ આદમી પાર્ટીના પરેશ ગૌસ્વામી સહિતનાઓ દ્વારા બિન રાજકીય સંમેલન બોલાવવામાં આવ્યું છે. દરમિયાન કલેકટર કચેરીના પટાંગણમાં સંમેલન યોજી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતો આક્ષેપ કર્યો કે, ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવી રહ્યા છે પરંતુ ખેડૂતોને લોલીપોપ સમાન રાહત પેકેજ જાહેર કરી ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યું છે.
ખેડૂતોએ મુખ્ય ત્રણ માંગણી મૂકી
આ ઉપરાંત ખેડૂતોએ મુખ્ય ત્રણ માંગણી મૂકી છે, જેમાં ટેકાના ભાવની મગફળી 125 મણને બદલે 200 મણ ખરીદવામાં આવે, જો ખેડૂતોને પાક ધિરાણ આપવામાં આવ્યું છે તે સંપૂર્ણ માફ કરવામાં આવે અને જે ખેડૂતોએ ધિરાણ નથી લીધું તેના ખાતામાં ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે અને વર્ષ 2018-19નો જે વીમો ખેડૂતોને ચૂકવવામાં નથી આવ્યો તે તાત્કાલિક ચુકવી આપવામાં આવે એવી માંગણી સાથે અધીક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ગાંધીનગર સુધીની કૂચ કરવાની ચીમકી
ખેડૂતોનું અલ્ટીમેટમ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ન સ્વીકારતા ખેડૂતો રોસે ભરાઈ રામધૂન બોલાવી હતી. તો અંતે અધિકારીઓએ આવેદનપત્ર સ્વીકારવું પડ્યું હતુ. ખેડૂત અગ્રણીઓની માંગણી છે કે આ કોઈ પક્ષનું આંદોલન નથી, બિન રાજકીય ખેડૂત આંદોલન છે. કિસાન સહકાર સમિતિના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલા આંદોલનની ત્રણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 12 દિવસ બાદ ખેડૂતોએ જુનાગઢથી ગાંધીનગર સુધીની કૂચ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આવેદનપત્ર ન સ્વીકારતા વિવાદ થયો
પહેલા આ ખેડૂતોના આંદોલનમાં આવેદનપત્ર ન સ્વીકારતા વિવાદ થયો હતો. જેમાં કલેક્ટર, અધિક કલેકટર કે પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા ન આવ્યા તો ખેડૂતોએ માંગ કરી હતી કે કે ત્રણમાંથી કોઈ પણ એક અધિકારી ઓફિસમાંથી નીચે આવી આવેદનપત્ર સ્વીકારે. કલેકટરે સ્પષ્ટ કહી દીધું કે, તમામ ખેડૂતો તેમની ચેમ્બરમાં આવી આવેદનપત્ર આપશે તો જ સ્વીકારશે. આ વાતને લઈ વિવાદ સર્જાયો હતો. તો ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં રામધૂન શરૂ કરી દીધી હતી. ખેડૂતોનું કહેવું હતુ કે, 200-500 કિલોમીટર દૂરથી ખેડૂતો આવ્યા પણ અધિકારી 50 મીટર આવેદનપત્ર સ્વીકારવા નથી આવતા.

