VIDEO: ગિરનારના આત્મેશ્વર નજીક વરસાદ વચ્ચે 35 યાત્રાળુઓ ફસાયા, તંત્રની સમયસૂચકતાથી તમામનું રેસ્ક્યૂ
ગિરનારના આત્મેશ્વર પાસે અચાનક મુશળધાર વરસાદ પડતાં મોટી ઘટના બની હતી. ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે વોકળામાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. જેના પગલે પહાડી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સામા કાંઠે ગયેલા અંદાજે 35 જેટલા યાત્રાળુઓ ફસાઈ ગયા હતા.
તમામનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ
પાણીનો પ્રવાહ સતત વધતાં યાત્રાળુઓએ તંત્ર પાસે મદદ માટે અપીલ કરી હતી. ઘટનાની જાણ થતાં જ વનવિભાગ અને ફાયરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. ટીમોએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ટીમોએ દોરડાં બાંધીને એક પછી એક યાત્રાળુઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઓપરેશન દરમિયાન મહિલાઓ અને બાળકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ભારે વરસાદ અને પાણીના પ્રવાહ વચ્ચે જાનના જોખમે રેસ્ક્યૂ ટીમોએ કામગીરી કરી હતી.
આખરે તમામ 35 યાત્રાળુઓને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. તંત્રની સમયસૂચકતા અને રેસ્ક્યૂ ટીમોની કામગીરીને કારણે મોટી હોનારત ટળી હતી. સલામત રીતે બહાર આવ્યા બાદ યાત્રાળુઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકો અને યાત્રાળુઓએ સમયસર મદદ પહોંચાડવા બદલ તંત્ર અને રેસ્ક્યૂ ટીમોનો આભાર માન્યો હતો.

