VIDEO: જામનગરમાં 'સંકલ્પ ઢોસા'માંથી ગ્રાહકે મંગાવેલા ઢોંસામાંથી મરેલી જીવાત નીકળી
VIDEO: ઢોસા ખાવાની ખૂબ ઈચ્છા હોય અને તમે મંગાવેલા ઢોસામાંથી મરેલી જીવાત નીકળે તો? જેથી હવે ઢોસા ખાતા પહેલા સાવધાન થઈ જજો. જામનગર શહેરમાં આવેલા પટેલ કોલોનીના સંકલ્પ ઢોસામાંથી ઓર્ડર મંગાવતા એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. જેમાં સંકલ્પ ઢોસામાંથી મંગાવેલા ઢોસામાંથી મરેલી જીવાત નીકળતા ગ્રાહકને જાણે પૈસા પડી ગયા હોય તેવો અનુભવ થયો હતો. જો કે, ગ્રાહકે બિલ સાથે FSSAI અને સ્થાનિક ફૂડ વિભાગને આ અંગે ફરિયાદ કરી હતી.
ગત શનિવારે ગ્રાહકે શહેરમાં ખૂબ જાણીતી એવી સંકલ્પ ઢોસામાં હોંશે હોંશે ખાવા માટે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. જેવો ઓર્ડર આવ્યો ત્યારે પાર્સલ ખોલીને જોયું ત્યારે ઢોસામાંથી મરેલી જીવાત નીકળી જેને જોઈ શકાતી હતી. આ જોઈને ગ્રાહકને ખૂબ ખોટું લાગ્યું અને પૈસા અને ખાવાનું મન મરી ગયું હતું. જેથી ગ્રાહકને થયેલા કડવા અનુભવને આખરે છેક સુધી લડી લેવા નિર્ણય કરી તેને બિલ સાથે જે તે સંબંધિત વિભાગ અને FSSAIને રજૂઆત સાથે ફરિયાદ કરી હતી.
રૅસ્ટોરન્ટ બંધ કરવાનો આદેશ, સેમ્પલ લેવાયા
ફૂડ શાખાની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોના સેમ્પલ સીલ કર્યા છે અને તેને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ગંભીર બેદરકારી બદલ રેસ્ટોરન્ટના સંચાલકને તાત્કાલિક પોતાનો રેસ્ટોરન્ટ બે દિવસ માટે બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા અને હાઈજેનિક કન્ડિશન જાળવવા માટેની કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. જાણીતા ફૂડ પાર્લરમાંથી જીવાત નીકળવાની આ ઘટનાએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.

