Jamnagar: હોસ્પિટલોમાં પણ રખડતા શ્વાનનો આતંક, જી.જી. હોસ્પિટલમાં શ્વાને વૃદ્ધ દર્દીને બચકું ભર્યું

સોર્સ : GSTV
રસ્તાઓ પર રઝળતા શ્વાનનો ત્રાસ હવે રાજ્યની મોટી હોસ્પિટલોના આંતરિક વિભાગો સુધી પહોંચી ગયો છે. જામનગરની જી.જી. હોસ્પિટલ માં રખડતા શ્વાનનો આતંક હવે કાયમી બની ગયો છે, અને આ મામલે તંત્ર માત્ર બચાવ કરતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ઘટના જી.જી. હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં બની હતી. જ્યાં કેસ બારી નજીક સારવાર લેવા આવેલા એક વૃદ્ધ દર્દીને રખડતા શ્વાને બચકું ભરી લીધું હતું. રણજીતનગરમાં રહેતા શ્યામભાઈ સિંધી નામના વૃદ્ધને મોંઢાના ભાગે કેન્સરની બીમારી છે અને તેઓ જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ત્યારે સારવાર લેવા આવેલા વૃદ્ધ દર્દીને શ્વાને બચકું ભરતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. તત્કાળમાં તેમને શ્વાન કરડવાની અન્ય સારવાર પણ લેવાની ફરજ પડી હતી.

