Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Jamnagar TADA Court's historic verdict: 12 accused sentenced in 33-year-old Gosabara arms case

જામનગર ટાડા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 33 વર્ષ જૂના ગોસાબારા હથિયાર કેસમાં 12 આરોપીઓને સજા

Timeછેલ્લું અપડેટ : 04 May 2026
લાઇવ ટીવીGoogle News
જામનગર ટાડા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 33 વર્ષ જૂના ગોસાબારા હથિયાર કેસમાં 12 આરોપીઓને સજા
સોર્સ : gstv

Jamnagar news: જામનગરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ (ટાડા) કોર્ટે કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહિમની સૂચનાથી ભારતમાં હથિયારો ઘૂસાડવાના 33 વર્ષ જૂના ટાડા કેસમાં 12 આતંકીઓને દોષિત જાહેર કરીને સજા ફટકારી છે. ડેઝિગ્નેટેડ જજ આર.પી. મોગેરા દ્વારા આપવામાં આવેલા આ ઐતિહાસિક ચુકાદામાં તમામ 12 દોષિતોમાંથી 10 આરોપીઓને 5 વર્ષની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓને 7 વર્ષની સખત સજા અને આઠ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

App Store

દોષિત 12 આરોપીઓમાં નામ
દોષિત ઠરેલા 12 આરોપીઓમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ સંધાર વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લંબુ લાખાણી, ઇફતેખાર મહમદ યુનુસ અન્સારી, મહમદ અયુબ અબ્દુલ કયુમ અન્સારી ઉર્ફે અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર વસરા, મહમદ સલીમ ઉર્ફે સલીમ કુતા, ઉમરમિંયા ઉર્ફે મમુમિયા ઈસ્માઈલ મિયા ઉર્ફે પંજુમિયા સૈયદ બુખારી, ઈસ્તીયાક અહેમદ મહમદ યુનીસ અન્સારી અને કાદીર અહેમદ અમીમ અહેમદ શેખનો સમાવેશ થાય છે.

બાબરી ધ્વંશનો બદલો લેવા રચાયું હતું કાવતરું
આ સમગ્ર કાવતરાના મૂળિયાં છઠ્ઠી ડીસેમ્બર 1992ના રોજ થયેલા બાબરી ધ્વંશ સાથે જોડાયેલા છે. જેનો બદલો લેવા અને દેશભરમાં આતંક મચાવી કોમી રમખાણો ભડકાવવાના હેતુથી દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરીતોએ દુબઈમાં બેસીને એક ભયાનક યોજના બનાવી હતી. દુબઈ સ્થિત મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠની માલિકીની 'સદા અલ બહાર' નામની લોંચ મારફતે કરાંચી નજીક દરિયામાંથી હથિયારોનો મસમોટો જથ્થો ભરવામાં આવ્યો હતો. 

કેસના પુરાવાઓ અને તપાસ અનુસાર, આ હથિયારોની હેરફેરમાં પાકિસ્તાનની મરીન સિક્યોરિટી અને સેનાના અધિકારીઓ પણ સીધા સામેલ હતા. તેણે કાળો પાવડર, આર.ડી.એક્સ., 150 જેટલા આધુનિક હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને રાઈફલો પૂરી પાડી હતી. મધદરિયે સેટેલાઇટ ટેલિફોનથી સંપર્ક કરી આ ઘાતક જથ્થાને 'બીસ્મીલાહ' નામની લોંચમાં શિફ્ટ કરાયો હતો અને પોરબંદર નજીક ગોસાબારાના બંદર પર રાતોરાત તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોસાબારાથી ટ્રકો મારફતે આ હથિયારો સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં મોકલી આપવામાં આવ્યા હતા.

25 વર્ષ લાંબી તપાસ અને કાયદાકીય લડાઈ
આ કેસની તપાસ 1993થી શરૂ થઈને છેક 2018 સુધી ચાલી હતી. આ દરમિયાન જામનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ટાડા અને આર્મ્સ એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ 25 વર્ષના લાંબા ગાળામાં પોલીસ અને તપાસ એજન્સીઓએ ઉતરોતર કડીઓ મેળવીને કુલ 46 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી, જેનું નેતૃત્વ રીટાયર્ડ આઈ.પી.એસ. પી.કે. ઝા, સતીષ વર્મા અને હાલ સી.બી.આઈ.ના સ્પેશ્યલ ડિરેકટર મનોજ શશીધર જેવા કાબેલ અધિકારીઓએ કર્યું હતું. 

ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન અનેક હેન્ડ ગ્રેનેડ, એ.કે. 47 સિરીઝની ડઝનબંધ રાઈફલો, હજારો જીવતા કારતુસ અને લાખો રૂપિયાનો અન્ય મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે, આ કેસમાં દાઉદ ઇબ્રાહીમ, ટાઈગર મેમણ અને અનીશ ઇબ્રાહીમ સહિતના 15 મુખ્ય સૂત્રધારો પાકિસ્તાન અને દુબઈમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જેમને ટાડા કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 46 આરોપીઓમાંથી 11નું ચાલુ કેસ દરમિયાન મોત થયું હતું. 6ને સુપ્રીમ કોર્ટના હુકમથી ડિસ્ચાર્જ કરાયા હતા અને બાકીના 29 આરોપીઓ સામે જામનગરની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી.

ન્યાયની પ્રક્રિયા જટિલ અને પડકારજનક
ન્યાયની આ પ્રક્રિયા અત્યંત જટિલ અને પડકારજનક હતી, કારણ કે આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજીઓ કરીને ટ્રાયલને વારંવાર વિલંબમાં નાખવાના પ્રયાસો થયા હતા. પરંતુ કેસની ગંભીરતા અને કાયદાકીય આંટીઘુંટીઓને ભેદવા માટે જામનગરના જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી સહિત ગુજરાત સરકાર દ્વારા રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (સ્પે. પી.પી.) તરીકે ખાસ નિમણૂક કરવામાં આવી હતી. 

કોરોના કાળનો સમય બાદ કરતા માત્ર ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં સ્પે. પી.પી. તુષાર ગોકાણી અને તેમની લડાયક ટીમે 63 જેટલા સાહેદોની જુબાની નોંધીને પ્રોસિક્યુશનનો કેસ મજબૂત રીતે સાબિત કર્યો હતો. છેવટે, સ્પે. પી.પી.ની વિસ્તૃત દલીલોને માન્ય રાખીને કોર્ટે 12 આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે, અને તેમાંથી 10ને 5 વર્ષની કેદ અને 5 હજાર રૂપિયાનો દંડ, જ્યારે 2 ને 7 વર્ષની કેદ અને 8 હજાર રૂપિયાનો દંડ ફટકારીને દાખલો બેસાડ્યો છે. આ ચુકાદો સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતની ધરતી પર આતંકવાદને નેસ્ત-નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર કેટલી કટિબદ્ધ છે.