Jamnagar મનપા કચેરી બહાર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, શાસક પક્ષ સામે કર્યા આ ગંભીર આક્ષેપ

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે શહેરમાં હાથ ધરાયેલી પ્રિ-મોન્સૂન કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો કરી સમગ્ર મામલે પારદર્શક તપાસની માંગ કરી છે.
'સેટિંગ' અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ શહેરની કેનાલોની તાત્કાલિક સફાઈ કરવા, ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારો લાવવા તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે અસરકારક આયોજન કરવાની માંગ ઉઠાવી હતી. આ ઉપરાંત, સ્ટેન્ડિંગ કમિટી પર 'સેટિંગ' અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનને કારણે મહાનગરપાલિકા કચેરી પરિસરમાં થોડો સમય માટે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
મનપામાં ભાજપની સંકલનની બેઠકો થતી હોવાનો દાવો
વિરોધ કરવા આવેલા કોંગ્રેસ નેતાઓ જામનગર મનપામાં ભાજપની સંકલનની બેઠકો પણ થતી હોવાનો દાવો કર્યો છે, જે અંગે રોષ ઠાલવતાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે જામનગર મહાનગરપાલિકા ખાતે આજે બીજી સ્ટેન્ડિંગ કમિટીનું આયોજન થયું, એ આયોજન થાય એ પહેલાં જેમ આ ભાજપની મિલકત હોય તેમ અહીંયા સંકલનની ભાજપની મીટિંગ પણ કરવામાં આવી. તેના પહેલા પણ સંકલનની મીટિંગ હતી. આ શાસનનો વિરોધ કોંગ્રેસ પાર્ટીએ ત્યારે પણ કર્યો હતો, તેના માટે થઈને આજે પાંચ વર્ષે સંકલનની મીટિંગ નથી થતી, પણ અહીંયા જે 60 જણા ચૂંટાય છે, આ મિલકત તેની પોતાની સમજે છે એમ આજે પણ એ સંકલનની મીટિંગ થઈ.
'જો માંગ પૂરી નહીં થાય તો કચરાના ઢગલા કરીશું'
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે-'અમારો મુખ્ય મુદ્દો એવો છે કે તાત્કાલિક ધોરણે આ કેનાલો સાફ થાય, હજી વરસાદને કલાકો બાકી છે અને રંગમતીમાં જે આ ઘાસચારો, બાવળા ઊભા છે એ કટિંગ થાય. આપણું જામનગર જે 'છોટી કાશી' કહેવાય છે, એમાં પણ રંગમતીમાં આજથી ઘણા વર્ષ પહેલા માણસો સ્નાન કરીને નાગેશ્વર દાદાના દર્શન કરતા. અત્યારે તમે જુઓ ત્યાં કચરાની ગંદકી છે અને એટલો બધો ભૂગર્ભનો કાદવ ત્યાં ઠલવાય છે, હું માનું છું કે આ જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ કોન્ટ્રાક્ટરના રૂપમાં આવ્યા છે અને બધાનું સેટિંગ ચાલુ છે. ખાસ કરીને આ બે મુદ્દાઓ પુરા નહીં થાય તો આવતા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટી અને મેયરના ટેબલ આગળ કચરાના ઢગલા કરીશું જેની જવાબદારી તંત્રની રહેશે.'

