VIDEO: જામનગરમાં વારંવાર વીજ કાપથી ત્રસ્ત ગ્રાહકોનું આવેદન, ઉકેલ નહીં આવે તો ઉપવાસની ચીમકી!
જામનગરના લાલ બંગલા ખાતે શિવમ અને સિદ્ધનાથ ફીડર વિસ્તારના ગ્રાહકો દ્વારા વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ગંભીર સમસ્યા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અરજદારોના જણાવ્યા અનુસાર, અગાઉ તાર બદલવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં જૂના તારમાં સાંધા મારીને કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે 15-20 મિનિટના બદલે 2-3 કલાક સુધી પાવર ગુલ રહે છે. વધુમાં, ગ્રાહકોએ સ્થાનિક કર્મચારીઓ દ્વારા ઉદ્ધત વર્તન અને ફરજમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે, તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવે તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, પીજીવીસીએલના સંબંધિત અધિકારીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈ જણાવ્યું કે, ગ્રાહકોની પાવર સપ્લાય ખોરવાવા અંગેની ફરિયાદ સાંભળવામાં આવી છે અને ભવિષ્યમાં નિયમિત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે લાઇન સમારકામનું યોગ્ય પ્લાનિંગ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમજ સ્થાનિક સ્ટાફના ગેરવર્તણૂક અને બેદરકારીના આક્ષેપો અંગે જરૂરી તપાસ કરી કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

