Gujaratમાં ઘરેલુ હિંસાના કેસમાં ચિંતાજનક વધારો, દરરોજ 206 મહિલાઓ બની રહી છે ભોગ

ગુજરાતમાં મહિલા સામે ઘરેલુ હિંસાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ વર્ષે જ 67 હજારથી વધુ મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની ચૂકી છે. આમ, દરરોજ સરેરાશ 206 જેટલી મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બને છે અને તેમાં ચિંતાજક વધારો જોવા મળી રહ્યો છે.
વર્ષ 2025માં કયા જિલ્લામાં મહિલા સામે હિંસાના સૌથી વધુ કેસ?
| જિલ્લો | કેસ |
| અમદાવાદ | 33869 |
| સુરત | 12414 |
| રાજકોટ | 11781 |
| વડોદરા | 11308 |
| ભાવનગર | 6180 |
અભયમમાં આવતા કોલ્સમાંથી 40 ટકા કેસ ઘરેલું હિંસાના
દર વર્ષે 25 નવેમ્બરની ઉજવણી ‘મહિલા સામે સામે હિંસા નિવારણ દિવસ' તરીકે કરવામાં આવે છે. મહિલાઓ માટેની હેલ્પલાઇન 'અભયમ્' દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી 1.68 લાખથી વધુ કોલ્સ આવી ચૂક્યા છે. અભયમમાં આવેલા કોલ્સમાંથી અંદાજે 40 ટકા ઘરેલું હિંસાને લગતા હોય છે. ગત વર્ષે અભયમમાં 2.17 લાખ કોલ્સ આવ્યા હતા. આ સ્થિતિએ દરરોજ આવેલા કોલ્સનું પ્રમાણ 595 હતું. જેની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં 1.68 લાખ કોલ્સ આવ્યા હતા.
ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં મહિલા સામે હિંસાના કેસ
| વર્ષ | કેસ |
| 2021 | 1,65,664 |
| 2022 | 1,85,746 |
| 2023 | 2,18,281 |
| 2024 | 2,17,228 |
| 2025 | 1,68,041 |
| કુલ (Total) | 8,55,260 |
શું કહે છે કાયદો?
જાણકારોના મતે ઘરેલુ હિંસાનો કાયદો 2005માં અસ્તિત્વમાં આવ્યો હતો. આ કાયદો અમલમાં આવ્યો એ પહેલાં પણ જો કોઈ હિંસા થઈ હોય એટલે કે, ભૂતકાળમાં પણ ઘરેલું હિંસા બની હોય તો એને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે. આ પહેલાં જે કાયદો હતો એ પત્ની, માતા અને પુત્રીને આવરી લેતો હતો. પરંતુ, હવે જે ડોમેસ્ટિક કાયદો છે એ દરેક સ્ત્રીને આવરી લે છે . એટલે કે સ્ત્રીની વ્યાખ્યા પહેલાં માતા કે પત્ની પૂરતી સિમિત હતી. એમાં હવે તમામ સ્ત્રી આવી ગઈ. એટલે કે, પ્રેમ સંબંધ હોય અને એની સાથે રહ્યા હોય એને પણ આ કાયદો લાગુ પડે છે.
અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલા સામે હિંસાના કેસ
| વર્ષ | કેસ |
| 2021 | 26,999 |
| 2022 | 31,612 |
| 2023 | 40,027 |
| 2024 | 44,791 |
| 2025 | 33,869 |
| કુલ (Total) | 1,77,298 |
આ સિવાય, પતિ હાથ ઉપાડે તો પત્નીએ જરૂર પડે તો કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. હકીકતમાં મહિલાઓ સમાજ, સગાસંબંધી અને પરિવાર વિશે વિચારીને જ સહન કરે છે. એમને લાગે છે કે, હું ફરિયાદ કરીશ તો મારા ઘરની આબરૂ જશે. કોઈ શું વિચારશે? પરંતુ, પોતાનું જીવન જીવવાનો હક દરેક મહિલાને છે. પોતાના પર થતા અત્યાચાર સામે સો ટકા પગલાં લેવા જોઈએ.

