Gir Somnath news: બહુચર્ચિત ઉના કાંડ કેસમાં 5 આરોપીઓ દોષિત; 37 નિર્દોષ જાહેર, વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો

ગીર સોમનાથ જિલ્લાનો બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કુલ 42 આરોપીમાંથી 5 આરોપીઓ દોષિત ઠેરવવામાં આવ્યા છે જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 2 આરોપીઓના મોત થયા છે. વેરાવળ કોર્ટ આવતીકાલે મંગળવારે દોષિતોને સજા સંભળાવશે.
મુખ્ય 5 આરોપીઓ દોષિત
-રમેશ જાદવ
-રાકેશ જોશી
-પ્રમોદ ગૌસ્વામી
-નાગજી ડાયા
-બળવંત ગૌસ્વામી
શું છે સમગ્ર મામલો?
તારીખ 11 જુલાઇ, 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સાત સભ્યોને મરેલી ગાયનું ચામડુ કાપવાના પ્રકરણમાં 'ગાયોને કેમ કાપો છો' તેમ કહી કાર સાથે બાંધી લાકડીઓ, પાઇપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ થઇ હતી. ઉનાકાંડ બાદ સમગ્ર દેશભરમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સ્ફોટક સ્થિતિ બની હતી. માત્ર ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત નોંધાયું હતું, જયારે કરોડો રુપિયાની જાહેર મિલકતોને નુકસાન થયુ હતું.

