VIDEO/ ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: એકઝાટકે 72 IAS અધિકારીઓની બદલી
ગુજરાત સરકાર દ્વારા બુધવારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવતા એકઝાટકે 72 જેટલા IASની બદલી અને નવી નિમણૂકનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમાપન બાદ કરાયેલા આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ સરકારી વિભાગોના ટોચના અધિકારીઓ પણ સામેલ છે. આ નિર્ણય બાદ અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ સરકારી સંસ્થાઓમાં નવા અધિકારીઓની નિમણૂક થઈ છે. સરકારના આ વ્યાપક ફેરફારને વિકાસલક્ષી પ્રોજેક્ટો અને સ્થાનિક વહીવટને વધુ અસરકારક બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અનેક મહત્વના વિભાગોમાં અનુભવી અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જાહેર કરાયેલા આદેશ અનુસાર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી. એન. મોદીનું ટ્રાન્સફર કરી તેમને ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સ વિભાગમાં સ્પેશિયલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. તે જ રીતે સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરુચના કલેક્ટર ગૌરાંગ મકવાણા ને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

