વિધાનસભામાં વંદે માતરમનો મુદ્દો ગરમાયો, ઇમરાન ખેડાવાલા વિવાદની તપાસ વિશેષ અધિકાર સમિતિને સોંપાઈ

ગાંધીનગરમાં વિધાનસભાના ગૃહમાં વંદે માતરમ્ ગાન દરમિયાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી જવાના મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટો નિર્ણય લીધો છે. સમગ્ર મામલો હવે ગૃહની વિશેષ અધિકાર સમિતિને તપાસ માટે સોંપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલા પોઇન્ટ ઓફ ઓર્ડર બાદ અધ્યક્ષે આ નિર્ણય કર્યો છે.
અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે ઘટના ગૃહની અંદર બની હોવાથી આ મામલો ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું કે તેમણે સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજ તપાસ્યા છે. ફૂટેજમાં ઇમરાન ખેડાવાલા વંદે માતરમ્ શરૂ થયું ત્યારે શરૂઆતમાં ઉભા થયા હતા, પરંતુ ગાન ચાલુ હતું ત્યારે તેઓ બેસી ગયા હોવાનું જણાય છે.
વંદે માતરમ્ ગાનનું અપમાન થયું
અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારના આદેશ મુજબ વંદે માતરમ્ ગાનની છ પંક્તિઓ ગાવામાં આવે છે. ગૃહના કન્ટેમ્પટ ઓફ હાઉસના નિયમો મુજબ આવા મામલે નિર્ણય કરવાનો અધિકાર ગૃહને છે. તેમના મતે, ગૃહની ગરિમા જાળવીને ઉભા રહેવાના બદલે બેસી જવાથી વંદે માતરમ્ ગાનનું અપમાન થયું છે.
પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ
હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કરીને અધ્યક્ષ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે ઇમરાન ખેડાવાલાએ અધ્યક્ષના આદેશનો અનાદર કર્યો છે અને રાષ્ટ્રગાનના અપમાન જેવું કૃત્ય કર્યું છે. પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કરવામાં આવ્યો ત્યારે ઇમરાન ખેડાવાલા ગૃહમાં હાજર ન હોવાથી તેમને તે સમયે પોતાનો ખુલાસો રજૂ કરવાની તક મળી નહોતી.
અધ્યક્ષે જણાવ્યું કે ઇમરાન ખેડાવાલાએ સમગ્ર મામલે ગૃહમાં ખુલાસો કરવાને બદલે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે મીડિયા સમક્ષ કોંગ્રેસ પક્ષ અને પોતાની રાજકીય વિચારસરણી અંગે વાત કરી હોવાનું પણ અધ્યક્ષે નોંધ્યું હતું. હવે સમગ્ર મામલાની તપાસ વિશેષ અધિકાર સમિતિ દ્વારા કરવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.

