Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Preparations to send 445 Pakistanis from the state, see details

રાજ્યમાંથી 445 પાકિસ્તાનીઓને રવાના કરવાની તૈયારીઓ, જુઓ વિગતવાર

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2025
લાઇવ ટીવીGoogle News
રાજ્યમાંથી 445 પાકિસ્તાનીઓને રવાના કરવાની તૈયારીઓ, જુઓ વિગતવાર

Pahalgam terror attack 2025 : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો, ત્યારે રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને લઈને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં પણ કોઈના કોઈ કારણસર જે પાકિસ્તાની નાગરિકો આવ્યા છે તેમને પરત પાકિસ્તાન મોકલવાની કવાયત તેજ કરી દેવાઈ છે. ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા વાળા 438, જ્યારે  શોર્ટ ટર્મ વિઝાવાળા 7 પાકિસ્તાની નાગરિકોની યાદી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

App Store

ગુજરાતના વિવિધ શહેરમાં 438 પાકિસ્તાની નાગરિક 
સૌથી વધુ પાકિસ્તાની નાગરિક અમદાવાદમાં 82, જ્યારે કચ્છમાં 53 અને સુરતમાં 44 પાકિસ્તાન નાગરિક છે. જેમાંથી શોર્ટટર્મ વાળા સૌથી વધુ ભરૂચમાં 8, અમદાવાદમાં 5 અને વડોદરામાં 2 પાકિસ્તાન નાગરિક હોવાની યાદી મળી છે. આ તમામ પાકિસ્તાની નાગરિકો પાસે 14 એપ્રિલથી 28 જૂન સુધીના વિઝા હતા. જેમને ગુજરાતમાંથી અટારી સરહદે મોકલી દેવાની કવાયત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના આદેશ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીને સૂચના આપી દીધી છે. પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન મોકલવાની ગુજરાતમાં તૈયારીઓ શરુ થઈ છે. જ્યારે જે હિંદુ શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમની સામે કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.

પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક
પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો આપતા બુધવારે સાર્ક વિઝા હેઠળ આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો હતો. ભારત સરકારે હવે ગુરુવારે પાકિસ્તાની નાગરિકોના મેડિકલ સહિત તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે અને તેમને 29 એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો છે. બીજીબાજુ પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરતાં ભારતે ગુરુવારે જી-20 દેશોના રાજદૂતોની બેઠક બોલાવી હતી અને પહલગામ આતંકી હુમલા અંગે વિસ્તારથી માહિતી આપી હતી.

ભારતીયોને તુરંત સ્વદેશ પરત ફરવા સૂચના
બીજી તરફ કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં રહેતા અને પ્રવાસે ગયેલા ભારતીયોને તુરંત જ સ્વદેશ પરત ફરવા સૂચના આપવામાં આવી છે. વિદેશી બાબતોના મંત્રાલયે ભારતીયોને પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ચોખ્ખી ના પાડી છે. સરકારનું આ પગલું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પાકિસ્તાનનો બહિષ્કાર કરતાં વિવિધ પ્રતિબંધો મૂકી રહી છે. 

અટારી-વાઘા બોર્ડર પર જામી ભીડ
બેઠકમાં અટારી-વાઘા બોર્ડર પણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની જાહેરાત થઈ હતી. જે લોકો કાયદેસર વિઝા સાથે પાકિસ્તાન ગયા છે, તે તમામ ભારતીયો 1 મે પહેલાં આ માર્ગે પરત ફરી શકે છે. આજે સવારે અનેક પાકિસ્તાની પરિવાર અટારી-વાઘા બોર્ડરથી સ્વદેશ પરત ફરવા અમૃતસર સ્થિત આઇસીપી પહોંચ્યા હતા.