રાજ્યનું ભૂગર્ભજળ શું હવે પીવાલાયક નથી?, 25 જિલ્લામાં ફ્લોરાઈડનું વધ્યું પ્રમાણ

ગુજરાતમાં આડેધડ થતાં બોરવેલ પર કોઈ નિયંત્રણ રહ્યું નથી પરિણામે બેફામ રીતે ભૂગર્ભજળ ઉલેચાઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે તેમ છતાંય કોઈ જોનાર નથી. ભૂગર્ભજળ પાછળ સરકાર કરોડોનું આંધણ કરી રહી છે, છતાંય પાણીના તળ ઊંચા આવી શક્યા નથી. બીજી તરફ તળિયા ઊંડે જઈ રહ્યા છે જેથી ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ રહ્યું નથી. ખુદ કેન્દ્રીય જળશક્તિ વિભાગે એ વાતનો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઇડની માત્રા વધી છે, જે માનવ સ્થાસ્થય માટે જોખમી છે.
રાજ્યમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ
ગુજરાતમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે પરિણામે ઉત્તર ગુજરાતમાં તો 100 ફૂટ પછી પણ પાણી નથી. આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે નિષ્ણાતોનું કહેવુ છે કે, જો હજુ પણ ભૂગર્ભજળના વપરાશ પર નિયંત્રણ નહીં લાદવામાં આવે તો જમીનમાંથી ભૂગર્ભજળ ખૂટી જશે તે દિવસો દૂર નથી. રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઑફ જળશક્તિએ રિપોર્ટ રજૂ કર્યો કે, ગુજરાતમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ભૂગર્ભજળની ચકાસણી કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં કુલ મળીને 632 પાણીના સેમ્પલ લીધા હતા. જે પૈકી 88 સેમ્પલમાં ફ્લોરાઇડની માત્રા હોવાનું માલુમ પડ્યું હતું.
આ પણ વાંચો: મહાદેવ એપ કૌભાંડ મામલો : ગુજરાતના એક હજાર ખાતામાંથી 200 કરોડ દુબઈ મોકલાયા
મર્યાદા સ્વીકાર્ય કરતાં વધુ હોવાનું માલુમ પડ્યું
ફ્લોરાઇડની મર્યાદા સ્વીકાર્ય કરતાં વધુ હોવાનું માલુમ પડ્યું છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે. જેમ કે ફ્લોરાઇડયુક્ત પાણીને પીવામાં આવે તો વ્યક્તિ વિવિધ રોગોનો શિકાર બની શકે છે.

