...તો આખી સરકારે રાજીનામું આપવું જોઇએ, ચેલેન્જની રાજનીતિ પર ગોપાલ ઇટાલિયાનો જવાબ
વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જની રાજનીતિ પર જવાબ આપ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવાની ચેલેન્જ આપી હતી અને તે બાદ તેઓ ગાંધીનગર રાજીનામું આપવા પહોંચ્યા હતા પણ રાજીનામું આપ્યું નહતું.
ચેલેન્જની રાજનીતિ પર ગોપાલ ઇટાલિયાનો જવાબ
ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપવાની વાત પર કહ્યું કે,"રોજ અનેક પુલ તૂટી જાય છે છતાં કોઇને સજા થતી નથી, કોઇ કાર્યવાહી થતી નથી.રાજીનામું તો આખી સરકારે આપવું જોઇએ. રોજ દારુ વેચાય છે અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઇ કાર્યવાહી તો થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઇએ. ઢગલાબંધ પેપરો ફૂટે છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે. ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે છતાં કોઇ કાર્યવાહી થતી નથી. ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પૂલ તૂટતા બંધ નહીં થાય, ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય, ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય.આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાનો સોનાનો સૂરજ ઉગશે ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે- બ્રિજ તૂટતા બંધ થશે, નિર્દોષ દીકરીઓને રંજાડતા ગુંડાઓ ત્યારે જ કાબુમાં આવશે. હું તો વિનંતી કરૂ છું કે ગુજરાતને સુખી કરવું હોય. ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવવી હોય તો આખી સરકાર રાજીનામું આપે ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો છે.
કાંતિ અમૃતિયાનો રાજીનામું આપવાનો સ્ટન્ટ
ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે ત્યારે કાંતિ અમૃતિયા 100 ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા.જ્યાં તેઓ ગોપાલ ઇટાલીયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના વિધાનસભાથી નીકળી ગયા હતા.અંતે રાજીનામાના નાટકનો અંત થયો હતો.

