'AAPના નેતાઓએ ખેડૂતોને ઉશ્કેરીને પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું', ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ

સોર્સ : GSTV
Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે 15 જૂનના રોજ ગાંધીનગરમાં થયેલા ઘર્ષણ સુધી ખેડૂતો માટે ભેગા મળીને લડવાની વાતો કરતી હતી, તેમાં હવે રાજનૈતિક તિરાડ પડી છે. ગુજરાત કિસાન કોંગ્રેસે નિર્ણય લીધો છે કે હવેથી ખેડૂતોના હિત માટેની તમામ લડાઈઓ માત્ર અને માત્ર કિસાન કોંગ્રેસ તથા ગુજરાત કોંગ્રેસના સીધા નેતૃત્વમાં જ લડવામાં આવશે. કોંગ્રેસનું માનવું છે કે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરવાના બદલે સ્વતંત્ર રીતે લડવું વધુ હિતાવહ છે. આથી, પાર્ટીએ હવે આ જવાબદારી સંપૂર્ણપણે પોતાના ખભા પર ઉઠાવી લીધી છે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકાર સામે આરપારનો જંગ છેડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
'આપ' પર આકરા પ્રહારો અને 'B ટીમ' હોવાના આક્ષેપ
કિસાન કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા ભાજપની 'બી-ટીમ' ગણાવી છે. તેમણે આરોપ કર્યો છે કે, ખેડૂતોની કીમતી જમીન પર પરાણે નાખવામાં આવતા વીજ થાંભલાના વિરોધમાં શરૂ થયેલા શાંતિપૂર્ણ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે 'આપ'ના નેતાઓએ રાજકીય સ્ટંટ કર્યા હતા. કોંગ્રેસનો દાવો છે કે, 'આપ'ના નેતાઓએ ભાજપ અને ભારતીય કિસાન સંઘના ઇશારે ખેડૂતોને ઉશ્કેરીને પાછળથી પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. આ જ બેવડી નીતિથી કંટાળીને રાજુ કરપડા, સાગર રબારી અને કરસનદાસ બાપુ જેવા અગ્રણી કિસાન નેતાઓએ ભૂતકાળમાં 'આપ' સાથેનો છેડો ફાડી દીધો હતો.
'ખેડૂતોને બજાર ભાવથી 4 ગણું વળતર મળવું જ જોઈએ'
સાથે જ માંગ કરવામાં આવી છે કે છેલ્લા છ મહિનાથી કિસાન કોંગ્રેસના નેજા હેઠળ ગામેગામ ફરીને ટ્રેક્ટર યાત્રાઓ દ્વારા ખેડૂતોના હક્ક માટેની લડાઈ લડવામાં આવી રહી છે. કોંગ્રેસના આ દબાણના કારણે જ સરકાર વીજ પોલના વળતરની રકમ 5 લાખ સુધી વધારવા તૈયાર થઈ છે. છતાં સ્પષ્ટ માંગ છે કે વર્ષ 2013ના કાયદા મુજબ ખેડૂતોને બજાર ભાવથી 4 ગણું વળતર મળવું જ જોઈએ.
'અમને 'આપ' પર સહેજ પણ વિશ્વાસ નથી': કિસાન કોંગ્રેસ
કિસાન કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ કહ્યું કે, 'અમારી ટ્રેક્ટર રેલીમાં આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ જોડાઈને માત્ર રાજકીય સ્ટંટ કર્યો અને ખેડૂતોને ઉશ્કેરી લાઠીચાર્જ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં અમે ખેડૂતો પર કોઈ આંચ આવવા દીધી નથી, ભલે પછી પાલભાઈને લીમડે બાંધીને માર મારવામાં આવ્યો હોય કે અમારે જેલમાં જવું પડ્યું હોય. અમે કાયદાના દાયરામાં રહીને લડનારા છીએ, ગોડસેની નીતિમાં માનનારા નથી. અમને 'આપ' પર સહેજ પણ વિશ્વાસ નથી. હવે પછીનો સરકાર સામેનો આ મરણિયો જંગ માત્ર કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં જ લડાશે, જેથી જેમને અમારા પર વિશ્વાસ હોય તે જ અમારી સાથે જોડાય. 15 જૂનના આંદોલન બાદ ખોટા આરોપોથી નારાજ થયેલા અમારા સાથી પાલ આંબલિયાને પણ અમે મનાવી લઈશું અને ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાની આ લડત વધુ મક્કમતાથી આગળ વધારીશું.'
આંદોલનની આગામી રૂપરેખા અને ચક્કાજામની ચેતવણી
કિસાન કોંગ્રેસ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ જયેશ પટેલે આગામી આંદોલનની રૂપરેખા જાહેર કરતા સરકારને સીધી ચેતવણી આપી છે. જો 30 જૂન સુધીમાં સરકાર વીજ થાંભલાના મુદ્દે નમતું નહીં જોખે, તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવા તેમજ ધરણા-પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ 30મી જૂને સમગ્ર ગુજરાતમાં રસ્તાઓ પર ચક્કાજામ કરવામાં આવશે. એટલું જ નહીં, 15 જૂનની જે લડત અધૂરી રહી ગઈ હતી, તેને પૂરી કરવા માટે અગાઉ કરતાં બમણા ટ્રેક્ટરો સાથે ગાંધીનગર સુધી વિશાળ કૂચ કરવાની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને અમે જે આંદોલન ઊભું કર્યું હતું, તેને આમ આદમી પાર્ટી દ્વારા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હતો.

