Video: એક નેતાના જવાથી ખેડૂત આંદોલન નબળું નહીં પડે, રાજુ કરપડાના રાજીનામા બાદ આપ પ્રદેશ પ્રમુખની પ્રતિક્રિયા
ખેડૂત નેતા તરીકે જાણાતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા. ભાજપે ડરાવી-ધમકાવીને રાજીનામું અપાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરી ઇસુદાન ગઢવીએ કહ્યું કે, રાજુ કરપડાએ પાંચ વર્ષ સુધી પક્ષ માટે સંઘર્ષ કર્યો છે. પરંતુ ભાજપે તેમને ખોટા કેસો અને જેલનો ડર બતાવીને રાજીનામું આપવા મજબૂર કર્યા છે. ભાજપ હંમેશા ઉભરતા નેતાઓને તોડવાની કોશિશ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે ખેડૂતોની લડાઈ અટકશે નહીં. એક નેતાના જવાથી આંદોલન નબળું નહીં પડે.
ખેડૂતોની લડાઈ અટકશે નહીં: ઈસુદાન
‘આપ’ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જેતપુર ખાતે જણાવ્યું હતું કે, રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાના વર્તન સામે જે આક્ષેપો કર્યા હતા, તે ભાજપની લખેલી સ્ક્રિપ્ટ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મનોજ સોરઠીયા ૨૦૧૨થી પક્ષ સાથે જોડાયેલા છે અને તેમના કારણે જ સંગઠન મજબૂત બન્યું છે. ગઢવીએ ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું કે, ખેડૂતોની લડાઈ અટકશે નહીં, પક્ષ આવા અનેક નવા નેતાઓ તૈયાર કરશે.

