રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 5 કરોડની જમીનના વેલ્યુએશન પર પ્રિમિયમ મંજૂરી કલેક્ટર આપશે

રાજ્યમાં ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતી જમીનના હેતુફેરની કામગીરી અંગે બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં જમીન વેલ્યુએશનના આધારે પ્રિમિયમ વસૂલાતમાં વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં મહત્ત્વ નો ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગમાં ઝડપથી થશે ભરતી, નિયમોમાં ફેરફારોને આપી મંજૂરી
પ્રિમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે
ખેતીથી ખેતી અને બિનખેતીના હેતુફેરના કામમાં બોનાફાઇડ પરચેઝરના કિસ્સામાં વસૂલાતની સત્તા સોંપણીમાં ફેરફાર કરાયો છે. આ ફેરફાર પ્રમાણે હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન પર પ્રિમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે. રાજ્યમાં પ્રવર્તમાન નિયમાનુસાર જે જમીનોનું વેલ્યુએશન 50 લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે. આવા પરચેઝર્સની અરજીની વધુ સંખ્યા તેમજ તેના પરિણામે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં ઘણો સમય લાગતો હોવાથી રાજ્ય સરકારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય કર્યો છે.
બોનાફાઇડ પરચેઝરની અરજીઓ વિલંબમાં નહીં પડે
મહેસુલ વિભાગના 17મી માર્ચ 2017ના ઠરાવ મુજબ બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસુલાતની હાલની સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસુલાતની મંજૂરીની સત્તાઓ રાજ્યના પ્રત્યેક જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે. આ ફેરફાર કરવાથી બોનાફાઇડ પરચેઝરની અરજીઓ વિલંબમાં નહીં પડે, તેમણે ગાંધીનગર સુધી આવવું નહીં પડે અને અરજીનો ઝડપથી નિકાલ થઇ જશે. જમીન વેલ્યુએશન પદ્ધતિમાં ફેરફાર કરવાથી હવે અરજદારોને જિલ્લા કલેક્ટર કક્ષાએ જ મંજૂરી મળી જશે.
મહેસૂલ વિભાગે પ્રિમિયમ અંગે ઠરાવ બહાર પાડ્યો
ગણોતધારા સહિતની નવી અને અવિભાજ્ય શરતની જમીનોને શુદ્ધબુદ્ધિ પૂર્વકના વેચાણના કિસ્સામાં ખેતીથી ખેતી તેમજ બિનખેતીના હેતુ માટે જમીન જૂની શરતમાં ફેરવવા માટે પ્રિમિયમ વસૂલ લઇ શરતફેરની મંજૂરી આપવાના પ્રકરણો હવે પ્રવર્તમાન જંત્રી પ્રમાણે થતાં મૂલ્યાંકન પ્રમાણે પાંચ કરોડ સુધીના મૂલ્યાંકનની સત્તા કલેક્ટરની રહેશે તે પ્રમાણેનો મહેસૂલ વિભાગે જીઆર બહાર પાડી દીધો છે.
જો કે ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીની જંત્રી અલગ અલગ ગણવાની રહેશે, જે પ્રમાણે જો બન્નેમાંથી એકની જંત્રી પાંચ કરોડથી વધારે થતી હોય તો તેવા પ્રકરણો સરકારને પૂર્વ મંજૂરી માટે મોકલી આપવાના રહેશે.

