SIRનો ડર, મતદારોના આંકડામાં ભારે વધઘટથી રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ

ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી હજુ આટોપાઈ નથી. ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ જે રીતે મતદારોની સંખ્યામાં ધરખમ વધારો-ઘટાડો થયો છે, જેના કારણે વર્તમાન ધારાસભ્યો જ નહીં, રાજકીય પક્ષોને હાર-જીત દેખાવવા માંડી છે. આ કારણોસર મતદારોની સંખ્યા ઘટાડવા માટે કાવાદાવા રચાયા છે. મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ઇરાદે બારોબાર ફોર્મ-7 ભરી દેવાતાં કેટલીય વિધાનસભા બેઠકો પર હંગામો મચ્યો છે. આ મામલે છેક કેન્દ્રીય ચૂંટણીપંચ સુધી ફરિયાદો પહોંચી છે.
વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યા ઘટી
ગુજરાતમાં કુલ મળીને 70 લાખ મતદારોનુ મેપિંગ થઇ શક્યું નથી. રાજ્ય ચૂંટણીપંચે મતદારો પાસે નોટિસ પાઠવી પુરાવા માંગ્યા છે. માત્ર અમદાવાદ શહેરની જ મોટાભાગની વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યા ઘટી છે કેમકે, મૃત્યુ ઉપરાંત સ્થળાંતરને કારણે મતદારો ઘટ્યોં છે. મતદારોની સંખ્યામાં થયેલી વધ ઘટ જ હવે વિધાનસભા બેઠકમાં હાર-જીત નક્કી કરશે. આ કારણોસર રાજકીય પક્ષોએ કાવાદાવા રચવા પડ્યાં છે.
બેઠક પર મતદારોનો વધારો-ઘટાડો
| બેઠક | મતદારોમાં વધઘટ | વધારો-ઘટાડો |
| વટવા | 6327 | ઘટાડો |
| નિકોલ | 18632 | ઘટાડો |
| નરોડા | 5122 | વધારો |
| ઠક્કરબાપાનગર | 5021 | ઘટાડો |
| બાપુનગર | 57274 | ઘટાડો |
| એલિસબ્રિજ | 33001 | વધારો |
| અમરાઈવાડી | 8622 | ઘટાડો |
| દરિયાપુર | 53239 | ઘટાડો |
| જમાલપુર | 71723 | ઘટાડો |
| મણિનગર | 15581 | વધારો |
| દાણીલીમડા | 93639 | ઘટાડો |
| અસારવા | 4076 | ઘટાડો |
બીએલઓએ ફોર્મ-7 ભરીને જમા કરાવ્યા
જાણવા મળ્યું કે, રાજકીય પક્ષોના બીએલઓએ બારોબાર ફોર્મ-7 ભરીને જમા કરાવ્યા છે. આધાર-પુરાવા વિના મતદાર યાદીમાંથી નામ કમી કરવા ફોર્મ-7 મતદારની જાણ બહાર ભરી દેવાયુ છે. એક બીએલઓ 10 ફોર્મ જમા કરાવી શકે છે. પણ છેલ્લાં ત્રણેક દિવસમાં અમદાવાદ શહેરમાં વિવિધ વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યા ઘટાડવા હજારો ફોર્મ-7 ભરાયાં છે. કાયદાની જોગવાઈ છેકે, જો ખોટી માહિતી આપવામાં આવે તો, જે વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોધાઈ શકે છે.
મતદારોમાં જાગૃતતાને કારણે શહેરના કોટ વિસ્તારમાંથી સ્થળાંતર કરી ચૂકેલાં મતદારો તો સામે ચાલીને બે સ્થળે નામ હોય તેની ચકાસણી કરી રહ્યાં છે અને નામ રદ કરાવી રહ્યાં છે. જે વર્તમાન ધારાસભ્ય માટે હારનો સંદેશો છે. આ જોતાં ધારાસભ્ય-રાજકીય પક્ષો સક્રિય થયાં છે અને રાજકીય બીએલઓની મદદથી અન્ય પક્ષના સમર્થક મતદારોના નામ બારોબાર કમી કરાવવા મેદાને પડ્યાં છે. આ જોતાં રાજ્ય-કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ એવી ફરિયાદ થઈ છેકે, હાલ ફોર્મ-7 મુજબ ચકાસણી કર્યાં વિના મતદારના નામ કમી કરવા નહીં. એટલુ જ નહીં, બારોબાર મતદારોના નામ કમી કરાવનારાં સામે પોલીસ ફરિયાદ નોધો. આગામી દિવસોમાં આ મુદ્દો વિવાદનું કારણ બને તેવા એધાણ છે.

